સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા ઉધના રેલ્વે સ્ટેશન બહારનું દૃશ્ય દિવસેને દિવસે બેકાબૂ બનતું જાય છે. રિક્ષાવાળાઓ દ્વારા જાહેર રસ્તા પર જ રિક્ષા ઉભી કરી દેવામાં આવે છે અને યાત્રીઓને અવરજવર કરવા પણ જગ્યાની તંગી સર્જાય છે.
ઉધના સ્ટેશન બહાર રિક્ષાવાળાઓ પોતાની મર્જીથી સ્ટેન્ડના બદલે જાહેર રોડ પર રિક્ષા પાર્ક કરે છે, જેના લીધે ટ્રાફિકમાં ગંભીર અવ્યવસ્થા સર્જાય છે. ખાસ કરીને પીક ટાઈમમાં ટ્રેનમાંથી ઉતરતા યાત્રીઓને રસ્તા પાર કરવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ઘણી વખત સામાન્ય યાત્રીઓ અને રિક્ષાવાળાઓ વચ્ચે વાદવિવાદની ઘટનાઓ પણ સર્જાઈ છે. સ્થાનિક લોકો અને યાત્રીઓ વારંવાર ફરિયાદો કરે છે કે રિક્ષાવાળાઓ જાહેર રસ્તા પર મજા કરીને ઉભા રહે છે, રોડને સખત રીતે ઘેરી લે છે અને રસ્તો સંપૂર્ણ રીતે જામ કરી દે છે.
વિચિત્ર બાબત એ છે કે જેના માટે ટ્રાફિક પોલીસ જવાબદાર છે તે પોલીસ તંત્ર જાણતા-જાણતા પણ મૌન રહે છે. સ્થળ પર ટ્રાફિક પોલીસ હોવા છતાં રિક્ષાવાળાઓ પર કોઈ દંડ કે કાર્યવાહી થતી નથી, જેના કારણે તેમનો ઉત્સાહ વધતો જાય છે.
આવો પ્રશ્ન ઊભો થાય છે કે ઉધના સ્ટેશન બહાર આવી બેદરકારી, અવ્યવસ્થા અને દાદાગીરી સામે ટ્રાફિક પોલીસ મૌન કેમ છે? શું પ્રશાસન કોઈ ગંભીર પગલું ભરે તેમ છે કે નહીં તે આવનારા દિવસોમાં જોવા જેવું રહેશે.
અહેવાલ : બ્યુરો રિપોર્ટ