જૂનાગઢ:
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા ચૂંટણી કાર્યક્રમ અનુસાર ૨૪-કડી (અનુસૂચિત જાતિ માટે આરક્ષિત) અને ૮૭-વિસાવદર વિધાનસભા બેઠક માટેની પેટા ચૂંટણીનો શંકુфа બોલાઈ ચૂક્યો છે. આજે તા. ૨૬ મે, ૨૦૨૫ના રોજ બંને બેઠક માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં, ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ઔપચારિક રીતે શરૂ થઈ ગઈ છે.
યાદગાર બાબત એ રહી કે, ચૂંટણીના પ્રથમ દિવસે મતદાર વિભાગના સંબંધિત ચૂંટણી અધિકારીઓ સમક્ષ કોઈ પણ ઉમેદવાર દ્વારા ઉમેદવારી પત્ર દાખલ કરવામાં આવ્યું નથી.
ચૂંટણી પંચના નિયમો મુજબ, ઉમેદવારોને પોતાના ઉમેદવારી પત્ર સાથે સોગંદનામું (એફિડેવિટ – ફોર્મ-૨૬) પણ ફરજીયાતરૂપે રજૂ કરવું રહે છે. આ સોગંદનામા ઉમેદવાર દ્વારા રજૂ કરાયાના ૨૪ કલાકની અંદર ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા તેમની અધિકૃત વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે.
ઉમેદવારો તેમજ જનતાએ આ સોગંદનામા જોવા માટે નીચેના લિંકનો ઉપયોગ કરી શકાશે:
🔗 https://ceo.gujarat.gov.in/Home/Affidavits-of-Candidates
ચૂંટણી અધિકારીઓને ઉમેદવારી પત્રો આપવાની છેલ્લી તારીખ તા. ૨ જૂન, ૨૦૨૫ બપોરે ૩ વાગ્યા સુધી નક્કી કરવામાં આવી છે.
આખા ચૂંટણી પ્રક્રિયાને લઈ સ્થાનિક વહીવટી તંત્ર સતર્ક છે અને ચૂંટણી પંચના તમામ માર્ગદર્શિકાઓનો અમલ સુનિશ્ચિત કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ