ગીર જંગલ મધ્યે આવેલું અનોખુ યાત્રાધામ શ્રી પાતળેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસના પ્રથમ સોમવારથી ખુલ્લું.

ગીર ગઢડા

ગીર જંગલમાં પ્રાકૃતિક સોંદર્ય વચ્ચે બિરાજતા દેવાધીદેવ શ્રી પાતળેશ્વર મહાદેવના દર્શન એ એક લ્હાવો છે. પાતળેશ્વર મહાદેવ ગીરગઢડા થી જામવાળા તરફ જતા બાબરીયા ફોરેસ્ટ ચેક પોસ્ટથી 7 કી.મી. દુર ગીર જંગલ ની ઘટાટોપ વનરાઈ વચ્ચે બિરાજે છે.

આ સ્થળ શ્રાવણ માસના પ્રથમ દિવસ તા.5 ઓગસ્ટ 2024 થી તા.2 સપ્ટેમ્બર 2024 સુધી શ્રી પાતળેશ્વર મહાદેવના દર્શન નો લાભ લઇ શકે છે, ગીર બાબરીયા ચેક પોસ્ટથી નિઃશુલ્ક પરમીટ દ્વારા પ્રવેશ આપવામાં આવે છે. જેથી પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન દરેક ભાવિક ભકતોને દર્શનનો લાભ મેળવી શકશે.

આ ધાર્મિક સ્થળે ભાવિકો માટે ચા-પાણી તેમજ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. મહંતશ્રી ધરમદાસ ગુરૂશ્રી નિર્વાણદાસ બાપુ ઉદાસીન આશ્રમ દ્વારા જણાવવામાં આવેલ છે. આખા વર્ષ દરમિયાન એક પવિત્ર શ્રાવણ માસ તેમજ મહાશિવરાત્રિના પવિત્ર તહેવાર માટે જ વનવિભાગ દ્વારા ખુલ્લુ મુકવામાં આવે છે. શ્રાવણ માસ તેમજ શિવરાત્રી દરમ્યાન ભક્તો પાતળેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જુનાગઢ)