ગીર સોમનાથ જિલ્લામાં ખુલ્લા વાહનમાં માછલીના પરિવહન પર પ્રતિબંધ, દુર્ગંધ અને અકસ્માતથી બચવા તાત્કાલિક અમલ!

ગીર સોમનાથ, ૩૧ મે:
જિલ્લામાં ખુલ્લા વાહનોમાં માછલી તથા અન્ય દરિયાઈ જીવો અથવા તેમના જૈવિક કચરાના ખૂલ્લા પરિવહનને કારણે સર્જાતી ગંદકી, દુર્ગંધ અને અકસ્માતની ઘટનાઓને ધ્યાને લઈને તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા મુજબ, આવા ખૂલ્લા વાહનોમાંથી રસ્તા પર ચીકણું પ્રવાહી ઢોળાતું હોવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી સર્જાય છે. કેટલાક કિસ્સાઓમાં ગંભીર ઇજાઓ તથા મૃત્યુની ઘટનાઓ પણ નોંધાઈ છે. ઉપરાંત આ પ્રવાહી અને જીવવિશેષોના અવશેષોથી આસપાસ દુર્ગંધ અને બિમારીઓનું જોખમ પણ ઊભું થાય છે.

જાહેરનામા અનુસાર, હવે માછલી તથા દરિયાઈ જીવો અથવા તેમનાં અવશેષોનો પરિવહન યોગ્ય રીતે ઢાંકેલા અથવા પેક કરેલા વાહનોમાં જ કરવામાં આવશે તે ફરજિયાત રહેશે. તેમજ ખાતરી કરવામાં આવશે કે પરિવહન દરમિયાન રસ્તા પર કોઈ પ્રવાહી ન ઢોળાય.

આ જાહેરનામું ૩૧ મે ૨૦૨૫થી આગામી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે અને તેનો ભંગ કરનાર સામે કાયદેસર પગલાં લેવામાં આવશે.

જિલ્લા વાસીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે લેવાયેલા આ પગલાંની અમલવારી માટે સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગ સક્રિય રીતે કામગીરી કરશે.

🔹 અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ