જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા અંદાજે ૧,૧૦૦ નાગરિકોને સલામત સ્થળે પહોચાડવામાં આવ્યા :- જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા.

જૂનાગઢ

જૂનાગઢ શહેરમાં અને વિવિધ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. માણાવદર, વંથલી, કેશોદ, માંગરોળ વિસ્તારમાં વરસાદની અસર વધારે જોવા મળી છે.

જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદને કારણે તેમજ ઉપરવાસમાંથી ખૂબ જ પ્રમાણમાં પાણીની આવક થતા ઘેડ પંથકમાં કેશોદ, માણાવદર, માંગરોળ તાલુકાના અંદાજે ૪૮ જેટલા ગામડાંઓ સંપર્ક વિહોણા છે, જેમાં માણાવદરમાં સૌથી વધુ ૨૨ જેટલા ગામ તેમજ માંગરોળમાં ૧૫ ગામ સંપર્ક વિહોણા છે.

જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યુ કે, જૂનાગઢ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનની ટીમ કાર્યરત છે. ઘેડ પંથકના ગામડાંઓમાં અસરગ્રસ્ત નાગરિકોનો, સરપંચશ્રીઓ અને તલાટી કમ મંત્રીશ્રીઓની મદદથી શક્ય તેટલો ઝડપી સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આ વિસ્તારોમાં ફૂડ પેકેટ, પાણી જેવી પ્રાથમિક જરુરિયાતો પણ પૂરી પાડવામાં આવશે.

જિલ્લામાં ૧૯ જેટલા ડેમમાંથી ૧૪ જેટલા ડેમ ઓવરફ્લો છે, જેના કારણે ૮૬ જેટલા ગામડાંઓને એલર્ટ કરવામાં આવ્યા છે. નાગરિકોને સલામત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે.

છેલ્લા ચાર દિવસમાં જૂનાગઢ જિલ્લામાં આવેલા વરસાદને કારણે માળિયા હાટીના તાલુકાના આંબલગઢ ગામના એક અને માણાવદર તાલુકાના ઝીંઝરી થાણિયાણા ગામના એક એમ બે નાગરિકોના મૃત્યુ, પાણીના વધુ પ્રવાહને લીધે થયા હતા. આકસ્મિક મૃત્યુ થતાં આ નાગરિકોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર સહાય ચૂકવવા માટેની કાર્યવાહી પ્રગતિ તળે છે. નીચાણ વાળા વિસ્તારમાં આવેલા નાગરિકોને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનની ટીમ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.હજુ આગામી બે દિવસ જૂનાગઢ જિલ્લામાં રેડ એલર્ટ હોવાથી જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પીજીવીસીએલ અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમને અવેજીમાં રાખવામાં આવી છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)