જુનાગઢમાં ફ્રેન્ડસ ઓફ કેટલના સ્લોગન સાથે મહાનગર સેવા સદન સંચાલિત ગૌશાળા ને રૂ.૭,૭૭૭/- નું દાન મળ્યું.

જૂનાગઢ

મહાનગર પાલિકા,જુનાગઢ શહેરને સ્વચ્છ રાખવા તેમજ રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા પ્રયત્નશીલ છે.પરંતુ શહેરીજનો દ્વારા દાન પુણ્ય કરવા અર્થે જાહેરમાં અનધિકૃત ઘાસચારો વેચતા ઈસમો પાસેથી અનધિકૃત ઘાસચારો લઇ જાહેર માર્ગ પર જ ગૌવંશને આપવામાં આવે છે.જેના કારણે આસપાસ ના વિસ્તારમાં ગંદકી ફેલાય છે. તેમજ જાહેર માર્ગ,જાહેર સ્થળો માં ગૌવંશ અડચણરૂપ બને છે.

મહાનગરપાલિકા,જૂનાગઢના કમિશ્નરશ્રી ડૉ.ઓમ પ્રકાશ ની સુચના મુજબ નાયબ કમિશ્નરશ્રી એ.એસ.ઝાંપડા દ્વારા જુનાગઢ મહાનગરપાલિકાના હદ વિસ્તાર માંથી રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા અને જાહેરમાં અનધિકૃત ઘાસચારો વેચતા ઇસમોને પકડવા માટે સતત કાર્યવાહી કાર્યરત છે. જાહેરમાં ઘાસચારો વેચવા અથવા નાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.જેથી જાહેરમાં ઘાસચારો વેચતા અથવા નાખતા પકડાશે તો મહાનગરપાલિકા,જુનાગઢ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.જેની તમામ શહેરીજનો એ નોંધ લેવી.

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી રખડતા ભટકતા ગૌવંશને પકડી મહાનગરપાલિકા, જુનાગઢ સંચાલિત ગૌશાળામાં રાખવામાં આવે છે.જેમાં આજ તા.૨૩/૧૦/૨૪ના રોજ ખામધ્રોળ રોડ ટોરેન્ટ ગેસ ખાતે આવેલ મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં આસિ. કમિશનર(વ)શ્રી જયેશભાઈ વાજાની ઉપસ્થિતિમાં શ્રી હરસુખભાઈ રાદડિયા દ્વારા રૂ.૭,૭૭૭/- નું દાન ઘાસચારા માટે આપવામાં આવેલ છે,તેમજ તેમના દ્વારા એક અનેરો સંકલ્પ પણ કરેલ છે કે નિવૃત્તિ સુધી તેઓ દર મહિનાની પાંચમની તિથીના રોજ ગાયના ઘાસચારા માટે યથાશક્તિ દાન કરશે. આ રીતે તેમના દ્વારા સૌ શહેરીજનો ને અપીલ કરેલ છે કે મહાનગર પાલિકા સંચાલિત ગૌશાળામાં દાન આપી પુણ્યનું ભાથું બાંધીએ

મહાનગરપાલિકા,જુનાગઢ ની કાર્યવાહી શહેરીજનોના લોકહિતમાં હોય તેથી જુનાગઢ શહેરના શહેરીજનો પૈકી જે લોકો ઘાસચારાનું દાન કરવા માંગતા હોય તે લોકોએ મહાનગરપાલિકા,જૂનાગઢ દ્વારા ફ્રેન્ડસ ઓફ કેટલ અંતર્ગત મહાનગર સેવા સદન ખાતે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ જન સેવા કેન્દ્ર,જોશીપુરા ઝોનલ ઓફીસ(સોરઠ ભવન),ટીંબાવાડી ઝોનલ ઓફીસ,દોલતપરા ઝોનલ ઓફીસ, શહેરીજનો પોતાની ઈચ્છા અનુસાર ઘાસચારાની રકમ આપી શકશે.જે રકમનો ગૌશાળા ખાતે ઘાસ ચારો આપવામાં ઉપયોગ કરવામાં આવશે.જેની શહેરીજનોને પાકી પહોંચ આપવામાં આવશે.તેમજ મહાનગર પાલિકા,જૂનાગઢ ની(૧.) ખામધ્રોળ ટોરેન્ટ ગેસ પાસેની ગૌશાળા (૨)સુખનાથ ચોક સાવજના ડેલા પાસે આવેલ ગૌશાળા અથવા શહેરની અન્ય કોઈ પણ ગૌશાળાએ જઈને ઘાસચારાનું દાન કરવા માટે જણાવવામાં આવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)