જૂનાગઢમાં સેવા સેતુ કાર્યક્રમ થકી નાગરિકોની રજુઆતો-પ્રશ્નોનું સ્થળ ઉપર સરળતાથી થઇ રહ્યુ છે નિરાકરણ- કલેકટર અનિલ રાણાવસિયા.

જૂનાગઢ

આજે જૂનાગઢ જિલ્લાનાં મેંદરડા તાલુકાનાં નાની ખોડીયાર ગામે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઇ ઠુંમર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન સાથે કલેકટર શ્રી અનિલ રાણાવશીયા ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરશ્રીએ સેવાસેતુ અભિયાનની અગત્યતા જણાવતા ઉમેર્યું હતું કે, સેવા સેતુના માધ્યમથી નાગરિકોને ઘરઆંગણે સરકારશ્રીની મહત્વની ૫૫ જેટલી સેવાઓ ઉપલબ્ધ થઈ છે. જિલ્લામાં સેવા સેતુને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તાલુકામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નગરપાલિકા વિસ્તારમાં દરેક નગરપાલિકા દીઠ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

ઉલ્લેખનીય છે કે, સેવા સેતુ સાથે જિલ્લામાં આજથી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાનશ્રીના દિશાનિર્દેશ અનુસાર જિલ્લામાં એક પેડ મા કે નામ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે.

આ તકે કલેકટરશ્રીએ ગ્રામજનો સાથે સંવાદ સાધતા જણાવ્યુ હતુ કે છેવાડાના માણસોની નાની – નાની સમસ્યાઓનું સ્થળ ઉપર નિવારણ થાય તે માટે રાજ્ય સરકારે સેવા સેતુ કાર્યક્રમ રૂપી મહા અભિયાન સમગ્ર રાજ્યમાં આરંભ્યું છે. સેવા સેતુ કાર્યક્રમ એ પારદર્શક વહિવટ અને ભ્રષ્ટાચાર મૂક્ત શાસન વ્યવસ્થાનું ઊત્તમ ઉદાહરણ બન્યા છે. આ કાર્યક્રમ દ્વ્રારા છેવાડા વિસ્તારના ગરીબ લોકોનો હાથ પકડીને સંવેદનશીલતા સાથે તેમના પ્રશ્નો – સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમની સાથે લોકોના આરોગ્ય ચકાસણીનું કાર્ય પણ હાથ ધરવામાં આવી રહ્યું છે., મનુષ્યના આરોગ્યની સાથે પશુઓના આરોગ્યની ચિંતા પણ રાજ્ય સરકાર કરી રહી છે.

આ તકે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ નાની ખોડીયાર ગામનાં ગ્રામજનો સાથે વાત કરતા ઉમેર્યુ હતુ કે રાજ્યના ગરીબોના આરોગ્ય માટે આ સરકારે અનેક પગલાઓ ભર્યા છે, રાજ્યના છેવાડાના માણસોની નાની – નાની સમસ્યાઓનું સ્થળ ઉપર નિવારણ થાય તે માટે રાજ્ય સરકારે સેવા સેતુ કાર્યક્રમ રૂપી મહા અભિયાન સમગ્ર રાજ્યમાં આરંભ્યું છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)