તળાજા ખાતે જિલ્લા કક્ષાના ૭૮ મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ભવ્ય ઉજવણી, રાજ્ય મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી.

ભાવનગર‌

ભાવનગરના તળાજા આઇ. ટી. આઇ. ખાતે ૭૮ મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન અને શાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાની ઉજવણીનો આ કાર્યક્રમ મત્સ્યોદ્યોગ અને પશુપાલન રાજ્ય મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

મંત્રી પરસોત્તમભાઈ ધ્વજવંદન કરી, સલામી ઝીલી, પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે જિલ્લા કલેક્ટર આર.કે.મહેતા અને પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ પણ જોડાયાં હતાં.

ઉલ્લેખનીય છે કે પરસોત્તમભાઈએ જિલ્લાના વિકાસ માટે રૂા.૨૫ લાખનો ચેક જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યો હતો.

આ ઉજવણીમાં ટ્રાફિક પોલીસ, પુરૂષ હથીયારી પોલીસ ટુકડી, મહિલા હથીયારી પોલીસ ટુકડી, હોમગાર્ડ હથિયારી પુરુષ, મહિલા હોમગાર્ડ, ઘોડેસવાર યુનિટ, પોલીસ બેન્ડ પ્લાટુન, એન.સી.સી. સિકસ બટાલિયન યુનિટ, સ્ટુડન્ટ પોલિસ કેડેટ્સ (એસ.પી.સી.) સહિત પ્લાટૂનની ટુકડીઓ દ્વારા પરેડ યોજી ત્રિરંગાને સલામી અપાઈ હતી. શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી.

આ પ્રસંગે મંત્રીશ્રીએ ભાવનગર જિલ્લામાં વિવિધ ક્ષેત્રે  પ્રશંસનીય સેવા કરનારને સન્માનિત કરી તેઓને બિરદાવ્યા હતા. ધ્વજવંદન બાદ ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ કાર્યક્રમ સ્થળે વૃક્ષારોપણ કર્યું હતું. પરેડનું નેતૃત્વ પી. આઇ. શ્રી આર. ડી. રબારી એ કર્યું હતું.

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતા, જિલ્લા વિકાસ જી.એચ. સોલંકી, પ્રોબેશનરી આઇ. એ. એસ.અધિકારી શ્રી આયુષી જૈન, પોલીસ અધિક્ષકશ્રી ડો.હર્ષદ પટેલ, રિઝનલ મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી .એમ.સોલંકી, નાયબ વન સંરક્ષકશ્રી સાદીક મુંજાવર, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી જયશ્રીબેન જરુ, તળાજા પ્રાંત અધિકારીશ્રી જે. આર. સોલંકી, આગેવાન શ્રી આર. સી. મકવાણા સહિતનાં પદાધિકારીશ્રી – અધિકારીશ્રીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર‌)