પથ્થરનો સોદો મોંઘો પડ્યો: અપહરણકર્તા ત્રણ ઝડપાયા, ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો.

પાલનપુર તાલુકા પોલીસે કાણોદરથી વેપારી અને તેમના મિત્રનું કારમાં અપહરણ કરનારા શખ્સોને ઝડપી ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો છે.

◆ અપહરણ કરતા ત્રણ શખ્સો ઝડપાયા
◆ કાણોદરથી વેપારી અને તેના મિત્રનું કર્યું હતું અપહરણ
◆ સુલેમાની પથ્થરનો સોદો ન થતા કર્યું હતું અપહરણ
◆ ગણતરીના કલાકોમાં આરોપી ઝડપી પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો

કાણોદર ખાતે થવાનો હતો સોદો
મહેસાણાથી મેટલ અને પેપર સ્ક્રેપની દલાલીનો વ્યવસાય કરતા વેપારી રાહુલ કુમાર દવે પાલનપુર પોતાની સાસરીમાં આવ્યા હતા જે દરમિયાન કાણોદર ગામે વડોદરાના મિત્ર હેતલભાઈ રાવજીભાઈ પટેલને બોલાવી અમદાવાદના વેપારી અજયભાઈ માટે સુલેમાની પથ્થર ખરીદયો હતો. જોકે, સાંજ સુધી અજયભાઈ પથ્થર લેવા માટે કાણોદર આવ્યા ન હતા. આથી વડગામના પથ્થરના વેપારી વિશ્વજીતસિંહ અને જીતેન્દ્રસિંહે અને અરવિંદ રાવળ નામના આરોપીએ પથ્થરના રૂપિયા 5 લાખ આપવાનું કહ્યું હતુ.

કારમાં વેપારી અને મિત્રનું અપહરણ કર્યું
રાહુલભાઈએ નાણાં આપવાની ના પાડતાં બંને શખ્સોએ રાહુલભાઈ અને હેતલભાઈને તેમની કારમાં બળજબરીપૂર્વક બેસાડી અપહરણ કર્યુ હતુ. આ અંગે અપહૃતની પત્ની પૂર્વીબેન રાહુલકુમાર દવેએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અલગ ટિમો દ્વારા તપાસ હાથ ધરી હતી જેમાં હ્યુમન સોર્સ અને મહેસાણા જિલ્લા પોલીસની મદદથી આખરે ભીમપુર સતલાસણાથી ત્રણ આરોપીઓને સુલેમાની પથ્થર સાથે ઝડપી અપહૃત બંને શખ્સોને તેમની ચુંગાલમાંથી છોડાવ્યા હતા.

 

અહેવાલ :- અયુબ પરમાર (બનાસકાંઠા)