ભાવનગર રેલ્વે મંડળ પર 02 ઓક્ટોબરને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવામાં આવ્યો હતો.

ભાવનગર

પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન પર ઑક્ટોબર 02, 2024 (બુધવાર) ને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારની આગેવાની હેઠળ મંડળ કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાવનગર પરા રેલ્વે સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. આ સ્વચ્છતા અભિયાનમાં સૌએ પૂરા ઉત્સાહથી સાથ અને સહકાર આપ્યો હતો.

આ પછી ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમાર, એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી હિમાઁશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા ભાવનગર પરા રેલ્વે સ્ટેશન પર રેલ્વે મુસાફરોને કાપડની થેલીઓ ભેંટ કરવામાં આવી હતી. ડિવિઝનલ રેલ્વે મેનેજરે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને પણ કાપડની થેલીઓ આપી હતી અને પ્લાસ્ટિકની થેલીઓને બદલે કાપડની થેલીઓનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારે છેલ્લા પખવાડિયાથી ચાલી રહેલા “સ્વચ્છતા હી સેવા” અભિયાનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ, અધિકારીઓ અને સફાઈ મિત્રોને ઈનામ પણ આપ્યા હતા. ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર વિજેતાઓને ઈનામ આપવામાં આવ્યા હતા.

ભાવનગર ડિવિઝનલ કલ્ચરલ એસોસિએશન (BDCA)ની ટીમ દ્વારા વેરાવળ, જૂનાગઢ, ધોળા, બોટાદ, પોરબંદર, ભાવનગર પરા વગેરે રેલ્વે સ્ટેશનો પર શેરી નાટકો દ્વારા મુસાફરોને સ્વચ્છતા અંગે અસરકારક રીતે જાગૃત કરવાના પ્રયાસરૂપે, તેઓને પણ મંડલ રેલ પ્રબંધક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે ડિવિઝનલ રેલ્વે મેનેજરે સમગ્ર અભિયાનમાં ડગલે અને પગલે સહકાર આપનાર ભારત સ્કાઉટ અને ગાઈડની ટીમનું પણ સન્માન કર્યું હતું.

ભાવનગર ટર્મિનસ રેલ્વે સ્ટેશન ખાતે માહી દૂધ ડેરીના કર્મચારીઓ દ્વારા શ્રમદાન કરવામાં આવ્યું હતું. “સ્વચ્છ ભારત દિવસ” નિમિત્તે આરોગ્ય વિભાગ ભાવનગરની ટીમ દ્વારા પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને સાફ સફાઈ કરવામાં આવી હતી. સમગ્ર ભાવનગર રેલવે ડિવિઝનમાં આવુ જ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)