વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી: માલીડા અને નવા વાઘણીયા ગામમાં ફરી મતદાન શરૂ, બોગસ મતદાનની ફરિયાદ બાદ ચૂંટણી પંચનો નિર્ણાયક પગલાં

વિસાવદર:
આજે તા. 21 જૂન 2025ના રોજ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત માલીડા (મતદાર ક્રમાંક 86) અને નવા વાઘણીયા (મતદાર ક્રમાંક 111) ગામમાં ફરીથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. આ બંને ગામમાં સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી નવા મતદાન માટે બૂથ ખુલ્યા છે.

માલીડા ગામમાં કુલ 628 મતદાર નોંધાયેલા છે અને આજે વહેલી સવારે જ મતદારો ઉત્સાહભેર મતદાન કેન્દ્રે પહોંચી ગયા હતા.

આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ આમ આદમી પાર્ટી દ્વારા આપેલ ફરિયાદ હતી. જેમાં આ બંને ગામોમાં બૂથ કેપ્ચરિંગ અને બોગસ મતદાનના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.

આ ફરિયાદને ગંભીરતાથી લેતાં ચૂંટણી પંચે તપાસના આધારે પુનઃમતદાનનો નિર્ણય કર્યો હતો, જે અંતર્ગત આજે સમગ્ર દિવસ દરમિયાન મતદાન યોજાઈ રહ્યું છે.

પોલીસ તથા ચુંટણી તંત્રની ચુસ્ત વ્યવસ્થા હેઠળ શાંતિપૂર્ણ રીતે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. બંને ગામોમાં કડક સુરક્ષા અને મોનિટરિંગની વ્યવસ્થા ગોઠવાઈ છે.

અહેવાલ :- કાસમ હોથી