શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.05-02-2025ને બુધવારના રોજ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાઘા તથા સેવંતીના મીક્સ ફુલોનો દિવ્ય શણગાર કરાયો હતો તથા 500 કિલો ગોળનો અન્નકૂટ ધરાવાયો હતો. આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી,
સ.ગુરૂ શ્રી ગોપાળાનંદસ્વામી ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના એવા મહાન સંત છે જે બ્રહ્માંડના દરેક જીવો પર સિદ્ધિઓ ના આશીર્વાદ અને અષ્ટાંગ યોગ દ્વારા પ્રાપ્ત અનંત ઐશ્વર્યની વર્ષા કરી રહ્યા છે. શ્રી ગોપાળાનંદસ્વામીએ આ ધરતી પર વસતા દરેક પ્રાણી, પક્ષી, મનુષ્ય અને સમાજના કલ્યાણ માટે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની સાળંગપુર ખાતે સ્થાપના કરી હતી.આવા વિરલ સંતની ઐશ્વર્યની અસર આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને ખાસ કરીને સાળંગપુરધામમાં જોવા મળી રહી છે.સ્વામીજીની મહાન કથાઓની પરંપરા આજે પણ આધ્યાત્મિક સાધનાના રૂપમાં સંતો અને ભક્તોના હૃદયમાં અંકિત છે,
આવા મહાન સંત અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સ.ગુરુ શ્રી ગોપાળાનંદસ્વામીજીને તેમના 244માં પ્રાગટ્ય દિવસના પાવન અવસર પર લાખ લાખ વંદન. એવં હાર્દિક શુભેચ્છાઓ..
સવારે ૭:૦૦ કલાકે શ્રી કષ્ટભંજનદેવની મૂર્તિની સ્થાપના કરનારા શાશ્વત મૂળ અક્ષરમૂર્તિ સદ્ ગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીના 244માં પ્રાગટ્ય દિવસ નિમિતે પૂજન-અર્ચન-આરતી પ.પૂ.નારાયણમુની સ્વામી તેમજ કિર્તનસાગર સ્વામી દ્વારા કરવામાં આવેલ તેમજ મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ.દાદાના શણગાર-આરતી-દર્શનનો અમૂલ્ય લ્હાવો હજારો ભકતોએ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધો હતો.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)