સુત્રાપાડા નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત અભિયાન માટે વેપારીઓ સાથે સેમિનાર, સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરોધમાં પ્રતિજ્ઞા!

સુત્રાપાડા, 5 જૂન:
વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ના પૂર્વસંદર્ભે, ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા નગરપાલિકા દ્વારા પ્રિ-ઈવેન્ટ રૂપે પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત વેપારી એસોશિએશન સાથે સેમિનાર યોજવામાં આવ્યો હતો.

આ સેમિનારમાં વેપારીઓ, નાગરિકો, નગરપાલિકા સભ્યો તથા સ્ટાફની ઉપસ્થિતિમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી થતા નુકશાન અંગે ચર્ચા કરી સજાગતા ફેલાવવામાં આવી હતી. સાથે જ, બધા ઉપસ્થિતોએ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને કાપડની થેલી પ્રોત્સાહિત કરવા સંકલ્પ કર્યો હતો.

સુત્રાપાડા નગરપાલિકાના ચીફ ઓફિસર મૌલિક વૈંશે જણાવ્યું હતું કે, “વિશ્વભરમાંથી પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” થીમ હેઠળ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ સેમિનાર પણ તેની જ એક કડી છે, જેના માધ્યમથી વેપારીઓ સુધી સંદેશ પહોંચાડી એક સહભાગીતા ભાવના વિકસાવવામાં આવી છે.

કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, વોર્ડ સભ્યો, તેમજ વેપારી એસોશિએશનના હોદ્દેદારો અને અનેક વેપારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
વિશેષરૂપે, વેપારીઓએ સંકલ્પ કર્યો કે તેઓ પોતાના વેપારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરે અને ગ્રાહકોને પણ તેનો પર્યાય અપાવશે.

આવા પ્રકારના સામૂહિક કાર્યક્રમો દ્વારા નાગરિકોમાં પણ પ્રેરણા ફેલાય છે અને પર્યાવરણ સુરક્ષા માટે વ્યવહારિક કક્ષાએ પરિણામસપદ પરિવર્તન આવવાની શક્યતા વધે છે.

🔹 અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ