સુરતના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર, મનપાએ હનુમાન ટેકરી પાસેનો ફ્લડગેટ બંધ કર્યો.

સુરત :

સુરત: શહેરમાં એક બાજુ વરસાદનું રેડ એલર્ટ છે અને બીજી બાજુ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરાયું છે. જેને પગલે આજે રજાના દિવસે પણ રાજ્યના ચીફ સેક્રેટરી દ્વારા વીડિયો કોન્ફરન્સ મારફતે પરિસ્થિતિનો તાગ મેળવાયો હતો. સુરત જિલા કલેક્ટર ડો. સૌરભ પારધી દ્વારા યોજાયેલી રિવ્યુ બેઠકમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા ભાગોમાં એલર્ટની સૂચના આપવા સહિત રજાના દિવસોમાં નાગરિકોએ દરિયા કિનારે નહીં જવાની અપીલ કરવામાં આવી છે. સુરત જિલ્લાના વિસ્તારોમાં કેટલાક રસ્તાઓ પણ એવા છે જ્યાં ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જાય છે. આવા રસ્તાઓ ઉપર ખાસ કરીને રાત્રીના સમયે પોલીસ બંદોબસ્ત ગોઠવવાની પણ સૂચના આપી દેવામાં આવી હતી.

બીજી તરફ ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા મનપાના તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અને સલામતીને ધ્યાને લ‌ઇ રાંદેર ઝોનના હનુમાન ટેકરી પાસે આવેલો ફલડગેટ મનપા દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો. આ સાથે ધાસ્તીપુરા અને મક્કાઇપુલ પાસેના ફલડગેટ પાસે મનપાની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જો ઉકાઈ ડેમમાંથી અઢી લાખ કયુસેકથી વધુ પાણી છોડવામાં આ‍વશે તો મક્કાઇપુલ અને ધાસ્તીપુરાનો ફલડગેટ પણ બંધ કરી દેવામાં આવશે તેમ જણાવામાં આવ્યું છે. સાથે જ મનપા દ્વારા ફાયરની ટીમને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

ઉકાઈમાંથી પાણી છોડાતા તાપીનું જળસ્તર વધતા જ અડાજણ રિવરફ્રન્ટ અને ચોક સ્થિત ડકકા ઓવારા કિનારે પાણી ધૂસી ગયા હતા. ડક્કા ઓવારા કિનારેના 30થી વધુ ઝૂંપડાઓમાં પાણી ફરી વળતાં 100 થી વધુ લોકો સ્વૈચ્છિક સલામત કરી શીફ્ટ થયા હતા.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)