અંબાજી મેળામાં એક જ પ્રકારના એક સરખા સ્ટોલ યાત્રાળુઓ માટે બન્યા આર્કષણનું કેન્દ્ર.

અંબાજી

ભાદરવી પૂનમના મહામેળામાં વેચાણકર્તાઓ ની સુખ અને સુવિધા માટે વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ખાસ આયોજન કરાયું છે. અંબાજી ખાતે વેચાણકર્તાઓને મુશ્કેલી ન પડે તેમજ પદયાત્રિકો અને યાત્રાળુઓની સુખ અને સુવિધા જળવાઇ રહે તે માટે તંત્ર દ્વારા આ વખતે મેળાના બ્રાન્ડીંગ પર વિશેષ ભાર મુકાયો છે. જેને પગલે મેળામાં જાહેર હરાજીના પ્લોટની એક સરખી ડિઝાઇન તેમજ ખાસ કલર કોડ સાથે સુંદર આયોજન કરયું છે. આ એક જ પ્રકારના એક સરખા સ્ટોલ મેળામાં દરેક યાત્રાળુઓ માટે આર્કષણનું કેન્દ્ર બન્યા છે.

દાંતા- અંબાજી રોડ અને હડાદ- અંબાજી રોડ પર જાહેર હરાજીના એક સરખા સ્ટોલનું વેચાણ કરાયું છે. જેમાં ૨૬૪ સ્ટોલનું વેચાણ કરાયું છે. આ પ્લોટમાં લાલ કલરના સ્ટોલ વિવિધ વિભાગોના સ્ટોલ રાખવામાં આવેલ છે. જેમાં વિવિધ ચીજ વસ્તુઓ અને માતાજીના શણગાર, કંકુ, ચુંદડી, સખી મંડળની બહેનો દ્વારા બનાવાયેલ હાથ વણાટ અને હસ્તકલાની આઇટમોના સ્ટોલ આકર્ષણ જમાવી રહ્યા છે. સાથે સાથે અંબાજી મેળાનું એક વિશેષ બ્રાન્ડીંગ કરી રહ્યા છે.

આવા જ એક સ્ટોલની મુલાકાત લેતાં સ્ટોલના સંચાલિકા અને દાંતાના મુખ્ય સેવિકા જયશ્રીબેન સુથારે જણાવ્યું કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ, જિલ્લા પંચાયત બનાસકાંઠાના માર્ગદર્શન હેઠળ આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા ભાદરવી પૂનમના મેળામાં પોષણ સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે. આ સ્ટોલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાકીય માહિતી નું પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું છે. દરેક માઇભકતો ને પોષણ માહ, પોષણ મૂલ્યો અને ખોરાક અંગે જાગૃતિ આવે એ માટે વિવિધ વાનગીઓના નિદર્શન દ્વારા પ્રસાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ સાથે ‘સહી પોષણ દેશ રોશન’ ના સૂત્રને સાર્થક કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)