અમદાવાદના બાપાસીતારામ સેવા ટ્રસ્ટના 360 જેટલા સ્વયંસેવકોએ શ્રાવણ પૂર્વે સોમનાથ તીર્થમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યુ.

સોમનાથ

શ્રાવણ માસને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સતત 14માં વર્ષે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણ પૂર્વે અમદાવાદના “બાપા સિતારામ સેવા ટ્રસ્ટ”ના 360 જેટલા સ્વયં સેવકો દ્વારા તીર્થને સ્વચ્છ કરીને શ્રમ સેવા કરવામાં આવી હતી. દર વર્ષે આ સેવા મંડળ ના સ્વયંસેવકો સ્વખર્ચે સફાઇના સાધનો, રસોઇનો સામાન, વગેરે લઇ સોમનાથ પહોચે છે. એક દિવસમાં શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તક ના અન્ય મંદિરોની સફાઇ કરે છે. ત્યાર બાદ બીજા દિવસે તેઓ સોમનાથ મહાદેવની ધ્વજાપુજા અને ધ્વજારોહણ કરી પરત ફરે છે. આ ક્રમ 13-વર્ષથી ચાલી રહ્યો છે, આ વર્ષે સ્વયંસેવકો હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર સફાઇમાં જોડાયા હતા. અને સાંજ સુધીમાં શ્રી સોમનાથ મંદિર, ભાલકા તીર્થ, ગોલોકધામ સહિત તીર્થના અનેકવિધ મંદિરો સ્વચ્છ કર્યા હતા.

360 જેટલા સ્વયં સેવકો દ્વારા સોમનાથ મંદિર, અહલ્યાબાઇ મંદિર, ગોલોકધામ, ભાલકા તીર્થ, રામ મંદિર, ત્રિવેણી સંગમ, વિઠલેશ્વર મંદિર-પ્રાચી , શશીભુષણ મહાદેવ,ભીડીયા ખાતે પોતાનું શ્રમદાન કરી સ્વચ્છતા કરવામાં આવી હતી. જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના સફાઇ કર્મીઓ પણ જોડાયા હતા.

આ અભિયાન બાદ પોતાની લાગણી વ્યક્ત કરતા શ્રી હરેશભાઇ સોની, બાપા સીતારામ સેવા ટ્રસ્ટ તરફથી સોમનાથ આવતા યાત્રીઓને અપિલ કરવામાં આવેલ કે “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” યાત્રીઓ આ તીર્થધામમાં આવે ત્યારે સ્વચ્છતા ના આગ્રહી બને અને તીર્થધામમાં કચરો જ્યા-ત્યાં નહિ પણ કચરાપેટીમાં નાખે જેથી સ્વચ્છતા બની રહે. સ્વચ્છતા ત્યાં પવિત્રતા હોય છે, જેમના સમન્વયથી રચાતા આધ્યાત્મિક વાતાવરણની અનુભુતી અન્ય યાત્રીઓ પણ કરી શકે તેવિ લાગણી વ્યક્ત કરેલ હતી.

સ્વચ્છતા અભિયાન પુર્ણ કરી સોમનાથ મહાદેવની ધ્વજા યાત્રા નીકળેલી હતી, ભક્તી ભજનમાં સૌ કોઇ ધન્ય બન્યા હતા. ત્યાર બાદ ધ્વજાપૂજા અને ધ્વજારોહણ કરવામાં આવેલ. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા બાપા સીતારામ સેવા ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો, આ અમુલ્ય શ્રમયજ્ઞને બિરદાવેલ હતો. 360 સ્વયંસેવકોને સોમનાથ મહાદેવનો પ્રસાદ આપી જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા દ્વારા સન્માન કરવામાં આવેલું હતું.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)