અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગીર ગઢડા તાલુકાના દંપતીના દુઃખદ અવસાન, પરિવારને વહીવટી તંત્રએ આપી સાંત્વના.

ગત ગુરુવારે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની બોઇંગ 171 વિમાની દુર્ઘટનામાં ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના મોટા સમઢીયાળા ગામના રહેતા રવજીભાઇ શંભુભાઇ ચોવટીયા તથા તેમની ધર્મપત્ની શારદાબેન રવજીભાઇ ચોવટીયાનું દુઃખદ અવસાન થયું હતું. વિમાન ટેકઓફ થયા બાદ માત્ર 2 મિનિટમાં, બપોરે 1:40 કલાકે મેઘાણીનગર IGP કંપાઉન્ડ નજીક પ્લેન ક્રેશ થયું હતું.

દુર્ઘટનામાં કુલ પાંચ પેસેન્જરો ગીર સોમનાથ જિલ્લાના હતા જેમાંથી ત્રણ ગીર ગઢડા તાલુકાના હોવાનું વહિવટી તંત્રએ જણાવ્યું. મૃતકોના પરિવારોને સાંત્વના આપવા તેમજ તમામ પ્રોસેસમાં મદદરૂપ થવા માટે પ્રાંત અધિકારી (ઉના)ને નોડલ અને મામલતદાર (ગઢડા)ને સહ નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

અહિ માટેની તાત્કાલિક ટીમમાં બે ડોક્ટરો અને એક નાયબ મામલતદારને પણ અમદાવાદ મોકલવામાં આવ્યા હતા, જેઓએ મૃતકોના પરિવારજનો સાથે રહીને સમગ્ર પ્રક્રિયાનું સંકલન કર્યું. DNA રિપોર્ટના આધારે ૧૭ જૂન ૨૦૨૫ના રોજ બંને મૃતદેહો ઓળખાયા બાદ પરિવારને સોંપવામાં આવ્યા.

આજ રોજ અમદાવાદ ખાતે મૃતક દંપતીના પુત્ર-પુત્રી, સગાસંબંધીઓ તથા મોટી સંખ્યામાં ગામના લોકોની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
અંતિમ યાત્રામાં ગીર ગઢડા તાલુકાની અધિકારી ટીમે પણ હાજરી આપી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને પરિવાર સાથે દુઃખની આ ઘડીમાં સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.

અહેવાલ: પ્રકાશ કારાણી, (વેરાવળ)