ઈણાજ ખાતે કલેક્ટર ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ મેરેથોન બેઠકો યોજાઈ.

ગીર–સોમનાથ જિલ્લામાં કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શનમાં જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે મેરેથોન બેઠકો યોજાઈ હતી. આ બેઠકોમાં વાસ્મો, કાયદો અને વ્યવસ્થા, સમુદ્રી સુરક્ષા તથા માર્ગ સલામતી જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

બેઠકોનું સંચાલન નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે કર્યું હતું. તેમણે વિવિધ અધિકારીઓને માર્ગદર્શિત કરતાં જણાવ્યું કે જિલ્લાના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા કડક પગલાં લેવાની સાથે, નાગરિકોની સુરક્ષા સર્વોપરી હોવી જોઈએ.

કલેક્ટર ઉપાધ્યાયે ખાસ કરીને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં પીવાના પાણી અંગે ચર્ચા કરી હતી. વાસ્મો અને પાણી પુરવઠા વિભાગ દ્વારા તૈયાર કરાયેલા વિવિધ પ્રકલ્પોનું સુવ્યવસ્થિત અમલીકરણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું.

નિવાસી અધિક કલેક્ટરે માર્ગ સલામતીની સ્થિતિની સમીક્ષા કરી હતી. અગાઉ યોજાયેલી બેઠકમાં જે નિર્ણયો લેવામાં આવ્યા હતા તેના અમલની સમીક્ષા સાથે ટ્રાફિક દુર્ઘટનાઓ ઘટાડવા માટે યોગ્ય પગલાં લેવા સૂચના આપી.

કાયદો અને વ્યવસ્થાને લગતા મુદ્દાઓમાં તેમણે અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવા તેમજ ડ્રગ્સ જેવા માદક પદાર્થો સામે જનજાગૃતિ અભિયાન ચલાવવાની સૂચના આપી.

જિલ્લો દરિયાકિનારો ધરાવતો હોવાને કારણે સમુદ્રી સુરક્ષા મુદ્દે પણ ભાર મૂકાયો હતો. દરિયાઈ વિસ્તારોમાં પેટ્રોલિંગ સઘન બનાવવું, માછીમારોમાં જાગૃતિ લાવવી તથા કિનારાની સુરક્ષા વધારવા માટે પગલાં લેવાશે તેવી માહિતી આપવામાં આવી.

આ મહત્વપૂર્ણ બેઠકોમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, સર્વે પ્રાંત અધિકારી વિનોદ જોશી, કે.આર. પરમાર, ડી.વાય.એસ.પી. ભાસ્કર વ્યાસ, ઉના ડી.વાય.એસ.પી. ચૌધરી સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


📌 અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ–સોમનાથ