સુરતના ઉધના વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. હરીનગર વિસ્તારમાં રહેતા 13 વર્ષના ધોરણ આઠના વિદ્યાર્થી કાર્તિકનો સુરત મહાનગર પાલિકાની કચરાવાળીની ગાડી અડફેટે લઈ જતાં દૂર્ઘટનાગ્રસ્ત મોત નિપજ્યું છે. ઘટના રાત્રિના સમયે બની હતી જ્યારે કાર્તિક તેની બે બહેનો સાથે બહાર નીકળ્યો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર, કાર્તિક અને તેની બહેનો રસ્તા ક્રોસ કરતા હતા, ત્યારે અચાનક ઝડપે આવતી SMCની કચરાવાળી ગાડી તેમને અડફેટે લઈ ગઈ. ગંભીર રીતે ઘાયલ થયેલા કાર્તિકનું ઘટનાસ્થળે જ દુર્ઘટનાગ્રસ્ત મોત નીપજ્યું હતું, જ્યારે તેની સાથે રહેલી બે બહેનોના માથા અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંનેને તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારના એકમાત્ર પુત્રનું કરુણ અંત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
હવે પ્રશ્ન ઉઠે છે કે સુરત મહાનગર પાલિકાની કચરાવાળી ગાડીઓ આરોગ્ય અને સફાઈ માટે હોય છે, પરંતુ જો તે ગાડી ચાલકો દ્વારા બેદરકારી પૂર્વક ચલાવવામાં આવે તો તે જીવનઘાતક બની શકે છે. સ્થાનિકોનું કહેવું છે કે આવા વાહનચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને.
ઉધના પોલીસ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી વધુ તપાસ હાથ ધરી છે તથા CCTV ફૂટેજના આધારે ડ્રાઈવરને ઓળખી તુરંત કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.