કટોકટીકાળમાં વિદ્યાર્થી તરીકે યાતના ભોગવનાર તુલસીકુમાર શર્માની મર્મસ્પર્શી કથા

વેરાવળ:
ભારતના ઇતિહાસમાં 25મી જૂન, 1975 દેશ માટે કાળા દિવસ તરીકે યાદ રાખવામાં આવે છે, જ્યારે તત્કાલીન સરકારે દેશ પર કટોકટી લાદી હતી. આ દિવસને વર્તમાન કેન્દ્ર સરકારે ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.

આ અવસરે વેરાવળ ખાતે આયોજિત કાર્યક્રમમાં તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહેલા તુલસીકુમાર શર્માએ કટોકટીકાળમાં પોતે અને પોતાનો પરિવાર જેમની પરિતાપજનક સ્થિતિમાંથી પસાર થયો હતો તે પોતાનો અનુભવ સહજ ભાવનાથી વ્યક્ત કર્યો હતો.

તુલસીકુમાર શર્માએ જણાવ્યું કે, કટોકટીના સમયમાં તેઓ ચોથા ધોરણમાં ભણતા હતા અને તેમની બે બહેનો છઠ્ઠાં ધોરણમાં ભણતી હતી. કટોકટીના કાળમાં તેમને ત્રણેયને બબ્બે વર્ષ સુધી એક જ ધોરણમાં નાપાસ રાખવામાં આવ્યા હતા. કારણ કે તેમના પિતા શિક્ષક તરીકે વિદ્યાર્થીઓમાં લોકશાહીના મૂલ્યોનો જાગૃત સંદેશ આપતા હતા, જે તત્કાલીન સત્તાધીશોને અસહ્ય બન્યું હતું. પરિણામે તેમના પિતાની બદલી પણ કરી દેવામાં આવી હતી અને તેમના બાળકોની વિદ્યાજીવનને પણ ઇરાદાપૂર્વક અટકાવ્યા હતાં.

તુલસીકુમાર શર્માએ જણાવ્યું કે, “જીવનના બે અમૂલ્ય વર્ષ બગાડી દેવાય એમાંથી થતા નુકસાનની અસલ કિંમત આજે સમજાય છે. હાલ હું કાયદાની કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવું છું અને કાયદાના અભ્યાસ સાથે જોડાયેલું પ્રમોશન અને અન્ય લાભમાં જે નુકસાન થયું તે આજે પણ અનુભવાય છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, “કાયદો સત્તાના નહીં પણ પ્રજાના કલ્યાણ માટે ઉપયોગમાં લેવો જોઈએ. જ્યારે કાયદાનું ઓઢાણ લઈને તેનો દુરુપયોગ થાય ત્યારે સામાન્ય માણસને કેટલી મોટી યાતના ભોગવવી પડે છે તેનો જીવતો ઉદાહરણ હું અને મારો પરિવાર છે.

તુલસીકુમાર શર્માએ યુવા પેઢીને સંદેશ આપતા જણાવ્યું કે, “આવા દિવસોની ઉજવણીથી લોકશાહી અને બંધારણીય અધિકારો અંગે સમાજમાં જાગૃતિ આવશે. આજે પણ હું એ દુઃખદ પરિસ્થિતિ ભૂલી શકતો નથી.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ – સોમનાથ