કપાસના ઊભા પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપન જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે કપાસના ઊભા પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપન અંગેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અનુસાર, કપાસમાં ખૂણિયા ટપકાં (કેમ્પેટ્રીસ) બીજજન્ય રોગ જેમ કે ધરુ મૃત્યુ, પાનના ખૂણિયા ટપકાં, કાળી નસ, જીંડવાનો કોહવારો, કાળિયો વગેરેના નિયંત્રણ માટે પ્રાથમિક આક્રમિત પાનને વીણીને નાશ કરવો. દ્વિતીય આક્રમણ વખતે તાંબાયુકત દવા બ્લ્યુ કોપર, બ્લાઈટોક્ષ પૈકી કોઈ એક દવા ૦.૨ % નું મિશ્રણ કરીને તેનો છંટકાવ કરવો.

રોગની શરૂઆત જણાય ત્યારે ૨૦ દિવસના અંતરે મેન્કોઝેબ ૦.૨ % દવાના ૩ થી ૪ વાર છંટકાવ કરવા. પાક પુર્ણ થયે રોગિષ્ટ પાન, ડાળી, જીંડવા વગેરેનો બાળીને નાશ કરવો. વાવણીના ૩૦ અને ૬૦ દિવસ બાદ સ્યુડોમોનાસ ફ્લુરોસેન્સ ૦.૫ % ડબલ્યુપી ૧૦૮ સીએક્યુ/ ગ્રામ ૨.૫ કિગ્રા/ હેકટર પ્રમાણે ૨૫૦ કિલોગ્રામ વર્મીકમ્પોસ્ટ ખાતરમાં ભેળવીને ચાસમાં આપવું અથવા સ્યુડોમોનાસ ફલુરોસેન્સ સ્ટ્રેઈન-૧ ૨૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં મિશ્રણ કરીને ૧૫ દિવસના અંતરે ૩ વખત છાંટવું.

મૂળખાઈ કે મૂળનો સડો રોગના નિયંત્રણ માટે ઝાયનેબ અથવા મેન્કોઝેબ દવાનું ૦.૨ % નું દ્રાવણ સુકાતા છોડની ફરતે જમીનમાં આપી ૪ થી ૫ દિવસ પછી યુરીયા કે એમોનિયમ સલ્ફેટ ખાતર આપવાથી રોગનું પ્રમાણ ઘટે છે.

મૂળખાઈ કે મૂળનો સડો તેમજ સુકારોના નિયંત્રણ માટે ખેતરમાં કાર્બન્ડાઝીમ દવાનું મિશ્રણ ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પ્રમાણે છોડની ફરતે રેડવું. બળીયા ટપકાં રોગના નિયંત્રણ માટે રોગિષ્ટ પાક અવશેષોને દૂર કરવા. રોગના પ્રાથમિક લક્ષણો દેખાય કે તરત જ મેન્કોઝેબ ૭૫ ડબ્લ્યુ પી ૦.૨ % ૧૦ લીટરમાં ૨૭ ગ્રામ અથવા કોપર ઓકઝીકલોરાઈડ ૦.૨ % ૧૦ લીટર પાણીમાં ૪૦ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૧૨ % + મેન્કોઝેબ ૬૩ % ડબ્લ્યુપી ૧૦ લીટરમાં ૨૦ ગ્રામ ઓગાળીને તેનું મિશ્રણ તૈયાર કરીને ૧૫ દિવસના અંતરે ૨ થી ૩ વખત છંટકવ કરવો જોઈએ.

ફુગનાશક મિશ્રણ કેપ્ટાન- ૭૦ % + હેકઝાકોનાઝોલ 5% ૭૫૦ ગ્રામ પ્રતિ હેકટરે, ૧૫ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં નાંખીને તેનો 3 વાર છંટકાવ રોગની શરૂઆત થાય કે તુરંત જ ૧૫ દિવસના અંતરે કરવો જોઈએ અને રોગિષ્ટ અવશેષો દૂર કરવા અથવા પાયરેકલોસ્ટ્રોબીન ૫ ડબ્લ્યુ જી + મેટીરામ ૫૫ ડબ્લ્યુ જી ૨૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ૨ વખત ૧૫ દિવસના અંતરે છંટકાવ કરવો જોઈએ. અથવા ફલુકઝાપાયરેકઝોઈડ ૧૬૭ ગ્રામ.+ પાયરેકલોસ્ટ્રોબીન ૩૩૩ ગ્રામ ૨ વખત ૭.૫ ગ્રામ કે ૧૦ લીટર પાણીમાં છંટકાવ કરવો જોઈએ.

દહિંયો કે છાસિયા રોગની શરૂઆત થતા કાર્બેન્ડાઝીમ ૦.૦૫ % ૧૦ ગ્રામ કે ૧૦ લીટર પાણીમાં અથવા વેટેબલ સલ્ફર ૨૦ ગ્રામ કે ૧૦ લીટર પાણીમાં છંટકાવ કરવો જોઈએ. અથવા કેસોક્સિમ મિથાઇલ ૪૪.૩ એસ.સી ૧૦ લીટર પાણીમાં ૧૦ મિ.લિ. મિશ્રણ તૈયાર કરીને તેનો છંટકાવ કરવો જોઈએ. અથવા તો કોપર ઓક્સીક્લોરાઇડ ૦.૨ % ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગાળીને તેનો ૧૫ દિવસના અંતરે ૨ વાર છંટકાવ કરાવવો જોઈએ.
પેરાવિલ્ટ કે નવો સૂકારોના નિયંત્રણ માટે જમીનમાં સેંદ્રીય ખાતરસ પુરતા પ્રમાણમાં આપવા. જમીનમાં નિતાર શક્તિ વધારવી, હલકી જમીનમાં જ્યારે જીંડવાની સંખ્યા વધુ પ્રમાણમાં હોય ત્યારે ટુંકા ગાળે પિયત કરતા રહેવું. અસરગ્રસ્ત છોડને ઉપાડીને નાશ કરવો, પિયત આપ્યા બાદ કે વધુ વરસાદ બાદ ધીમો સુકારો જોવા મળે તો વરાપ પ્રમાણે આંતરખેડ કરવી. જેથી મુળ વિસ્તારમાં હવાની અવર જવર થઈ શકે. મૂળ વિસ્તારમાં સળિયાથી હવાની અવર- જવર માટે કાણાં પાડવા, અસર પામેલ છોડની ફરતે ૩% પોટેશિયમ નાઈટ્રેટ અથવા ૧% યુરીયાના દ્રાવણ રેડવું જોઈએ. તેમજ ૧ ગ્રામ કોબાલ્ટ ક્લોરાઈડ ૧૦૦ લીટરમાં ઓગાળીને તેનું દ્રાવણ બનાવીને તેનો છંટકાવ કરવો જોઈએ. આ માવજત ખેતરમાં સુકારાની શરૂઆતના ૧૨ કલાકમાં જ કરવી.

છોડ ઉપર ફૂલભમરી અને જીડવાઓ બેઠા હોય ત્યારે પાણી અને પોષકતત્વોની અછત જોવા મળે ત્યારે ૧૯-૧૯-૧૯ (એન.પી.કે.) પાણીમાં દ્રાવ્ય ખાતર ૧૦૦ ગ્રામ + માઈકોમિક્સ ગ્રેડ- ૪, ૧૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગાળીને તેનો પાન ઉપર છંટકાવ કરવો જોઈએ. અસરગ્રસ્ત ખેતરમાં ફુગ જન્ય રોગો અટકાવવા ફુગનાશક કાર્બેન્ડાઝીમ દવાનું ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પ્રમાણે છોડની ફરતે રેડવું જોઈએ.

કપાસમાં લાલ પાન જોવા મળેથી ડી.એ.પી. ૨ % હુંફાળા પાણીમાં ભેળવીને તેનો છંટકાવ કરવો જોઈએ. મેગ્નેશિયમ સલ્ફેટ ૦.૫ % ના દ્રાવણનો છંટકાવ કરવો જોઈએ. વાવણી બાદ ૨૫ કિગ્રા. હેકટર મેગ્નેશિયમ સલ્ફટ આપવું અને ચૂસિયા પ્રકારની જીવાતોનો નિયંત્રણ કરવું.

ટોચના પાનોની વિકૃતિના નિયંત્રણ માટે ખેતરમાં શેઢા પાળા ઉપર કે પાણીની ફીલ્ડ ચેનલોમાં કે ધાસિયાં ખેતરોમાં ૨-૪ દિવસ માટે દવાનો છંટકાવ ટાળવો જોઈએ. નિંદામણ નાશક દવાઓના છંટકાવ બાદ પંપ ૨ થી ૩ વખત ધોઈને વ્યવસ્થિત સાફ કરીને જ અન્ય દવાના વપરાશ માટે વાપરવો.

કપાસના ખેતરમાં ૨-૪ દિવસ દવાનો ઉપયોગ ટાળવો જોઈએ. ગ્રોથ હોર્મોનનો ઉપયોગ ભલામણ મુજબ જ કરવો. ખેતરમાં આવી વિકૃતિ છોડમાં જોવા મળે કે તરત જ ખેતરમાંથી પાણી નીતારી નાંખવું અને ફરી હળવું પિયત આપવું. જમીનમાં વરાપે આંતરખેડ કરવી. ઉપદ્રવિત છોડ ઉપર ૨ % યુરિયાના દ્રાવણનો છંટકાવ કરવો.

જીડવાનો સડો, આંતરીક અને બાહ્ય જીંડવાનો સડો અટકાવવા માટે નાઈટ્રોજનયુકત ખાતરનો વધુ પડતો ઉપયોગ ટાળવો. કળી બેસવાના સમયે ચુસીયા પ્રકારના કિટકોની મોજણી કરતાં રહેવું. સાવચેતીનાં પગલાં તરીકે લીલા જીંડવા અવસ્થાએ વાદળછાયું વાતાવરણ હોય તો જીડવાનાં સડાને અટકાવવા માટે કોપર ઓકસીકલોરાઈડ ૫૦ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઈંસી ૧૦ મીલી અથવા કાર્બન્ડાઝીમ ૫૦ વે.પા. ડબલ્યુપી ૩૦, ૧૦ ગ્રામ ફુગનાશકને ૧૦ લીટર પાણીમાં ભેળવીને તેનો છંટકાવ કરવો. બાહય જીંડવાનાં સડાને રોકવા માટે મેટીરામ ૫૫ % + પાયરાકલોસ્ટ્રોબીન ૫ % ડબલ્યુજી ૨૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવીને તેનો છંટકાવ કરવો જોઈએ.

ઉપરાંત આ તમામ દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે- તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ કે જીવાત માટેની દવા છે. તેનો ભલામણ મુજબ ઉપયોગ કરવા માટે જણાવવામાં આવે છે.

આ અંગે વધુ જાણકારી મેળવવા માટે આપના વિસ્તારના ગ્રામસેવકશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી, ખેતી અધિકારીશ્રી, તાલુકા અમલીકરણ અધિકારીશ્રી, મદદનીશ ખેતી નિયામકશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ ખેતી નિયામકશ્રી વિસ્તરણ, નાયબ ખેતી નિયામકશ્રી તાલીમનો સંપર્ક સાધી શકાશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, જૂનાગઢ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)