કરજણ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત્, નગરજનોમાં રોષ

કરજણ:
કરજણ શહેરમાં દિવસોથી ચાલી રહેલા રખડતા ઢોરોના ત્રાસ સામે નગરજનો હજી પણ હેરાન પરેશાન છે. આજે વહેલી સવારે કરજણના જુના બજાર વિસ્તારમાં રેલ્વે સ્ટેશનથી હાઈવે તરફ જતા માર્ગ પર બે ઢોરો વચ્ચે યુદ્ધ સર્જાતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

આ અચાનક બનનારી ઘટના સમયે રસ્તા પરથી પસાર થતાં લોકોમાં દોડધામ અને નાસભાગ જોવા મળી હતી. પ્રજાજનોને પોતાની સુરક્ષા માટે નજીકના વિસ્તારોમાં શરણ લેવાં પડ્યાં હતા. જ્યારે સ્થાનિક લોકોએ બંને ઢોરોને શાંત કરવા માટે પાણી છાંટવાનું પણ મજબૂરીમાં કરવું પડ્યું હતું.

આ યુદ્ધના કારણે નજીક પાર્ક કરેલી કેટલીક ગાડીઓને નાની મોટી નુકસાન પહોંચી હતી. મોટી દુર્ઘટના થતા ટળી હોવાને નગરજનો સૌભાગ્ય માને છે, પરંતુ રખડતા ઢોરોના સતત વધતા જતાં આ ત્રાસથી તેઓ નારાજ જોવા મળી રહ્યાં છે.

બીજી તરફ કરજણ નગરપાલિકા દ્વારા સંસ્કાર કેન્દ્ર ખાતે ઢોરો પકડવાના ડબ્બામાં ઘાસ ભરેલું નજરે પડ્યું હોવું નગરપાલિકાની કામગીરી ઉપર સવાલ ઊભા કરે છે. નગરજનોમાં ચર્ચા છે કે, શું નગરપાલિકા કાયમી રીતે રખડતા ઢોરોને દૂર કરવાની કાર્યવાહી કરશે કે નહીં?

શહેરમાં હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, આ સમસ્યાનો કોઈ ઉકેલ ન આવે ત્યાં સુધી નગરજનોનો સંઘર્ષ આમ યથાવત્ જ રહેશે?

રિપોર્ટર: મનોજ દરજી, કરજણ