કલેક્ટરની નિમણૂક બનાસકાંઠામાં થાય તે પહેલા અંબાજી માતાજીના આશીર્વાદ લે છે,ત્યારબાદ ચાર્જ સંભાળે છે, આવનાર ભાદરવી પૂનમનો મહા મેળો મા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે કટિબંધ

બનાસકાંઠા

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાની સરહદ ઉપર આવેલું છે અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે અંબાજી મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે અંબાજી મંદિર ઉપર નાના-મોટા 358 સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. બનાસકાંઠા કલેક્ટર જે પણ હોય તે અંબાજી મંદિરના ચેરમેન ગણાતા હોય છે ત્યારે તાજેતરમાં સરકાર દ્વારા બનાસકાંઠાના કલેક્ટર વરૂણવાલની દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ના ઓએસપી તરીકે બદલી કરતા બનાસકાંઠા કલેક્ટર તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર મિહિર પટેલ બનાસકાંઠા કલેક્ટર તરીકે નિમણૂક પામ્યા હતા. મિહિર પટેલ આજરોજ અંબાજી ખાતે આવ્યા હતા અને માતાજીના મંદિરમાં દર્શન કરીને શીશ ઝુકાવ્યું હતુ.

મિહિર પટેલ આજરોજ અંબાજી મંદિર ખાતે આવ્યા હતા, ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંસ્કૃત પાઠશાળાના ભૂદેવો પણ હાજર રહ્યા હતા. સાથે-સાથે એસડીએમ દાંતા સિદ્ધિ વર્મા, અંબાજી મંદિર વહીવટદાર કૌશિક મોદી અને અંબાજી પીઆઈ આર.બી .ગોહીલ પણ હાજર રહ્યા હતા. સિદ્ધિવિનાયક મંદિરમાં પણ તેમને દર્શન કર્યા હતા અને માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના પણ ખાસ આશીર્વાદ મેળવ્યા હતા. અંબાજી મંદિર ના વહીવટદાર કૌશિક મોદી દ્વારા મિહિર પટેલને માતાજીની પ્રતિમા આપીને સન્માન કરાયું હતું. અંબાજીના મિડીયા મિત્રો દ્વારા પણ નવીન કલેકટરનું માતાજીની ચુંદડી આપીને સન્માન કરાયું હતું અને અl માતાજીની છબી ભેટ સ્વરૂપે આપીને સન્માન કરાયું હતું.

:- મંદિરમાં દર્શન કર્યા બાદ જ કલેકટર જિલ્લાનો ચાર્જ સંભાળે છે :-

બનાસકાંઠા કલેક્ટર તરીકે જે પણ અધિકારી આવે છે, તેઓ સૌપ્રથમ માં અંબાના મંદિર અંબાજી ખાતે દર્શન કર્યા બાદ જ જિલ્લાના કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળતા હોય છે. મિહિર પટેલ સીધા અમદાવાદથી અંબાજી મંદિર પહોંચ્યા હતા અને તેમને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માતાજીના મંદિરના દર્શન કર્યા બાદ કલેકટર તરીકેનો ચાર્જ સંભાળી રહ્યો છું. વધુમાં બનાસકાંઠા કલેક્ટર એ જણાવ્યું હતું કે આવનાર ભાદરવી પૂનમ મહામેળા ની પ્રાથમિક વિગતો મેળવી છે. અને આ ભાદરવી પૂનમનો મહા મેળો સુખ શાંતિ રીતે પરિપૂર્ણ થાય અને યાત્રાળુઓ ને કોઈપણ અગવડતા ન સર્જાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે કટિબંધ છે.

અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)