ગિર સોમનાથ, 1 જૂન: કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં પ્રિ-ખરીફ કેમ્પેઇન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિકસિત ‘કૃષિ સંકલ્પ’ અભિયાનની શરૂઆત ૨૯ મે થી કરવામાં આવી. આ અભિયાન હેઠળ કોડીનાર, સુત્રાપાડા અને ઉના તાલુકાના કુલ ૬ ગામોમાં ખેડૂત ગોષ્ઠીઓ યોજાઈ.
પ્રથમ દિવસે ગીર દેવળી, ચીડિવાવ, ખાંભા, સોખડા, લેરકા અને કાજરડી ગામોમાં, અને ૩૦ મેના રોજ ડોળાસા, અડવી, દુદાણા, ખાપટ, રાતડ અને વરસિંગપુરમાં આ ગોષ્ઠીઓ યોજાઈ હતી. ગોષ્ઠીમાં કેવિકે, આઈ.સી.એ.આર. ના વૈજ્ઞાનિકો, ખેતીવાડી અને બાગાયતના વિશેષજ્ઞો તેમજ વિવિધ સરકારી અને ખાનગી સંસ્થાઓના પ્રતિનિધિઓએ ખેડૂતોને ચોમાસુ ઋતુ માટે ખેતી, પશુપાલન, પ્રાકૃતિક ખેતી અને ડ્રોન ટેક્નોલોજી અંગે માર્ગદર્શન આપ્યું.
આ બંને દિવસોમાં અંદાજે ૧૪૦૦થી વધુ ખેડૂતો તથા ખેડૂત બહેનો ગોષ્ઠીઓમાં ઉમટ્યા હતા અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને સમજવા ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. ખેડૂતો માટે આવું માર્ગદર્શન કૃષિ ક્ષેત્રે નવી ટેક્નોલોજી અને પદ્ધતિઓનો પ્રચાર કરતી મહત્વની પહેલ તરીકે જોવામાં આવી રહી છે.
અહેવાલ: નરેન્દ્ર દવે, જગદીશ યાદવ, જૂનાગઢ