કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાની વિશેષ ઉપસ્થિતિમાં ગઢડા ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવાયુ.

બોટાદ

બોટાદ જિલ્લાની સુપ્રસિદ્ધ એવી ગઢડા ખાતે આયોજિત રથયાત્રાનું કેન્દ્ર સરકારનાં રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તેમજ ભાવનગર-બોટાદનાં સાંસદ શ્રીમતી નીમુબેન બાંભણીયા અને સંતો- મહંતોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવાયું હતું. આ રથયાત્રામાં ગઢડાના ધારાસભ્ય શ્રી શંભુનાથજી ટુંડિયા પણ વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.

“જય જય જગન્નાથ”, “હાથી, ઘોડા, પાલકી, ‘જય કનૈયા લાલ કી'” નાદ વચ્ચે ભગવાન જગન્નાથજી, ભાઇ બળદેવજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યાં હતાં, ત્યારે ભક્તોમાં અનોખો ઉમંગ જોવા મળ્યો હતો.

વિશાળ જનમેદની વચ્ચે મંત્રીશ્રીના વરદ હસ્તે રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું ત્યારે ગઢડા ખાતે ભક્તિમય માહોલ જોવા મળ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં ટ્રેક્ટર,અનેક ભજનમંડળીઓ, વિવિધ થીમના ફ્લોટ્સ જોડાયા હતા જેમાં નવા કાયદાઓ વિશે સમજ આપતો ફ્લોટ, એન.સી.સી., નંદ ગોપાલ, બ્લેક કમાન્ડો, ગંગા આરતી સહિતના ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

રથયાત્રાનાં સમગ્ર આયોજન દરમ્યાન બોટાદ તથા ગઢડા પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.

આ યાત્રામાં અગ્રણી શ્રી મયુરભાઈ પટેલ, ભોળાભાઈ રબારી સહિતના પદાધિકારીશ્રીઓ – અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતાં.

અહેવાલ:- લાલજી ચાવડા (બોટાદ)