કેબીનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતે મા અંબાના આશીર્વાદ મેળવ્યા.

અંબાજી

રાજ્યના કેબીનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતે આજરોજ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની મા અંબાના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ રાજ્યની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

રાજ્યના ઉદ્યોગમંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતે આદ્યશક્તિ મા અંબાના ચરણે શીશ ઝુકાવી ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા- અર્ચના કર્યા હતા. તેમજ યજ્ઞમાં આહુતિ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમુ જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. શક્તિપીઠ અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે.

અંબાજી ખાતે દર્શન કરવા પધારેલા મંત્રીશ્રીનું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માતાજીનો ખેસ પહેરાવીને સ્વાગત કરવામા આવ્યુ હતુ. અંબાજી મંદિર ખાતે મંત્રીશ્રીએ મંદિરના ગર્ભગૃહમાં મા અંબાના દર્શન કર્યા હતા. અંબાજી મંદિરના મહારાજ દ્વારા મંત્રીશ્રીનું માતાજીની ચુંદડી ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ મંત્રીશ્રીએ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા.

અહેવાલ:- ગુજરાત બ્યુરો