જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આજે ફરી એક દુખદ અકસ્માત સર્જાયો છે. કેશોદના ગેલાણા ગામે રહેતા અને મૂળ લિમધ્રા ગામના રહેવાસી રમેશભાઈ ભાયાભાઈ દેવાયતા પોતાની સ્પોર્ટ્સ બાઈક (જીજે-25-એએફ-3190) લઈને ફોરલેન હાઈવે પરથી ગેલાણા તરફ જઈ રહ્યા હતા ત્યારે રેવદ્રા ગામ નજીક બાઈક સ્લીપ થતાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી. પથ્થર સાથે અથડાતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તાત્કાલિક એમ્બ્યુલન્સ પહોંચી હતી પરંતુ તેમને બચાવી શકાયા નહીં.
આ અંગે જાણ થતાં કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ વિરાભાઈ દાદાભાઈ ગિયડ તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા અને તપાસ હાથ ધરી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કેશોદ સબ ડીસ્ટ્રીક્ટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાની બે બાજુ મેટલીંગ ન હોવાને કારણે આવા અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ખાસ કરીને માંગરોળ રોડ પર આવેલા સિલોદર થી કોયલાણા સુધીના રોડને ડબલ ટ્રેક અને પહોળો કરવામાં આવે એવી ગ્રામજનો દ્વારા માગ ઉઠાવવામાં આવી છે. આવા રોડ પરિવહન માટે જોખમી સાબિત થઈ રહ્યા છે, જેનો ભોગ નિર્દોષ યુવાનો બની રહ્યા છે.
અહેવાલ: રાવલિયા મધુ, (કેશોદ).