કેશોદ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ટાઉનહોલનું લોકાર્પણ કરવામાં આવ્યું.

કેશોદ:

ગુજરાત સરકાર ની સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજીત ૫૨૧.૦૪ લાખ રૂપિયાના ખર્ચે ટાઉનહોલ માંગરોળ રોડ પર શરદચોક પાસે તકિયા તરીકે ઓળખવામાં આવતી સરકારી જગ્યામાં બનાવવામાં આવેલ છે. કેશોદ નગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદ ના નામ સાથે જોડી સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ નામકરણ પણ કરેલ છે. કેશોદ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ટાઉનહોલમાં સેન્ટ્રલ એરકન્ડિશન, ૩૫૬ ખુરશીઓ, પાર્કિંગ વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, સાઉન્ડ સીસ્ટમ, લાઈટીંગ વ્યવસ્થા સાથે આધુનિક ટાઉનહોલ બનાવવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય સરકારના કેબીનેટ મંત્રી અને જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલ નું ઢોલ શરણાઈ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય દેવાભાઈ માલમ અને નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા ની ઉપસ્થિતિમાં રીબીન કાપી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવેલ હતું. કેશોદ નગરપાલિકા આયોજિત લોકાર્પણ કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવો અને અધિકારીઓ પદાધિકારીઓ નું પુષ્પગુચ્છ આપી નગરપાલિકા કર્મચારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદ ટાઉનહોલનું લોકાર્પણ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરી શરૂ કરવામાં આવ્યો હતો. સ્વાગત પ્રવચન બાદ પ્રસંગોચિત પ્રવચન કરતાં ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા જણાવ્યું હતું કે કેશોદ વિસ્તારમાં લોકોની સુખાકારી અને જન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રાજય સરકાર કટીબધ્ધ છે સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ કલા રસિકો અને કલાકારો ને માટે એક પ્લેટફોર્મ બની રહેશે. ગુજરાત રાજ્ય સરકાર ના કેબીનેટ મંત્રી અને જીલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે કેશોદ ખાતે ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રૂ. 5.20 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓથી સંપન્ન નવનિર્મિત ટાઉનહોલનું લોકાર્પણ કર્યું. આ ટાઉનહોલ આવનારા દિવસમાં કેશોદના નગરજનો માટે સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનશે.

કાર્યક્રમ દરમિયાન કેશોદના નગરજનોને રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાન હેઠળ પોતાના ઘર અને ઓફિસે તિરંગો લહેરાવવા તેમજ વન મહોત્સવ તથા એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવા માટે અપીલ કરી હતી. કેશોદ નગરપાલિકા આયોજિત સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ લોકાર્પણ કાર્યક્રમમાં નાયબ કલેકટર કિશન ગરચર નાયબ પોલીસ અધિક્ષક બી સી ઠક્કર મામલતદાર સંદીપ મહેતા ઉપરાંત તાલુકા પંચાયત પ્રમુખ ભનુભાઈ ઓડેદરા નગરપાલિકા સદસ્યો નગરપાલિકા કર્મચારીઓ અને ભાજપના શહેર તાલુકાના હોદેદારો પદાધિકારીઓ અને કાર્યકરો ઉપરાંત શહેરની વિવિધ સંસ્થાઓ ના હોદેદારો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નગરપાલિકા ઓફિસ સુપ્રીટેન્ડન્ટ પ્રવિણભાઈ વિઠ્ઠલાણી દ્વારા કરવામાં આવ્યું હતું. કેશોદ નગરપાલિકા દ્વારા સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો આયોજકો ને પરવડે એટલું ભાડું નક્કી કરવામાં આવશે કે કેમ એ તો આવનારા દિવસોમાં ખબર પડશે.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)