કોડીનાર:
‘વિશ્વ પર્યાવરણ દિવસ’ (૫મી જૂન)ને ધ્યાને લઈને ‘વિશ્વમાંથી પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત’ થીમ હેઠળ કોડીનારમાં પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા માટે લોકજાગૃતિ રેલી અને વિવિધ કાર્યક્રમો યોજાયા છે.
કોડીનાર નગરપાલિકાની આયોજિત રેલીમાં નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી, ચીફ ઓફિસર વિનોદભાઈ રાઠોડ, દરેક વોર્ડના સભ્યો અને સ્ટાફ મુખ્ય માર્ગની દુકાનો અને બજારોમાં જઈ કાપડની થેલીનું વિતરણ કર્યું હતું. દુકાનદારો, લારી માલિકો અને ગલ્લાવાળાઓને પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કાપડની થેલી વાપરવા માટે ઉત્સાહિત કરવામાં આવ્યા.
પ્લાસ્ટિક મુક્ત શહેર અભિયાન અંતર્ગત વેપારીઓ માટે વર્કશોપનું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં પ્લાસ્ટિક ઉપયોગ ન કરવા માટેના નિર્ણય અને પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
કોડીનારમાં ૨૨મી મેથી ૫મી જૂન સુધી પ્લાસ્ટિકના ઉપયોગ સામે જાગૃતિ માટે પ્રિ-કેમ્પેઈન ચાલી રહ્યા છે, જેમાં નૂક્કડ નાટક, શાળાઓમાં સ્પર્ધાઓ, સ્પોર્ટ્સ ઇવેન્ટ અને વૉકેથોન જેવા કાર્યક્રમો દ્વારા લોકોમાં પર્યાવરણ રક્ષા માટે જાગૃતિ લાવવામાં આવી રહી છે.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ