ખેરગામ તાલુકામાં 24 કલાકમાં 6.32 ઈચ વરસાદ. ઔરંગા નદી ઉપરના ત્રણ લો લેવલ બ્રીજ પાણીમાં ગરકાવ થયા.

ખેરગામ

ખેરગામ વિસ્તારમાં ૨૪ કલાકમાં ૬.૩૨ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્તા તાલુકા માંથી પસાર થતી તાન, માન અને ઔરંગા નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે. ભારે વરસાદને પગલે ખેતરો પણ છલકાઈ ઉઠતા ધરતી પુત્રો ડાંગરની રોપણીમાં જોતરાયા હતા. સાંજે ૪ થી સવારે ૬ : ૦૦ વાગ્યા સુધીમાં ૪.૩૨ ઈંચ અને સવારે ૬ થી સાંજે ૪ વાગ્યા સુધીમાં ૨ ઇંચ મળી કુલ ૬.૩૨ ઇંચ જેટલા ભારે વરસાદ ખાબક્તા ૩ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતાં લોકોએ લાંબો ચકરાવો લેવાની નોબત આવી હતી.

ખેરગામ તાલુકામાં રવિવારના સાંજથી જ પવનના સુસવાટા સાથે તેજ ગતિએ વરસાદ શરૂ થઈ ગયો હતો.અને સાંજે ૪ વાગ્યેથી સવારના છ વાગ્યા સુધીમાં ૧૦૮ -મીમી એટલે કે ૪ .૩૨ ઇંચ વરસાદ વરસ્યો હતો. સવારે છ વાગ્યા બાદ તો મેઘરાજા વરસતા સાંજે ચાર વાગ્યે સુધીના ૧૦-કલાકમાં ૨ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેમાં સવારે ૮ થી ૧૦ વાગ્યાના બે કલાકના સમયગાળામાં જ ૨૨ મીમી એટલે કે ૧ ઈંચ જેટલો ભારે વરસાદ થયો હતો.

ખેરગામ પંથકમાં નોંધપાત્ર વરસાદથી ખેતરો પણ તરબોળ થઈ જતા ખેડૂતો ડાંગરની રોપણીમાં જોતરાયા હતા. જ્યારે વરસાદ નાં વધુ પાણી ને કારણે સુરણ,કંદ,હળદળ જેવા પાકોના ખેતરોમાં પાણી ભરાતા તેના નિકાલ માટે ખેડુતો દ્વારા પાણી નિકાલ કરવા માટે જોતરાયા હતા. ઉપરવાસમાં પણ વરસાદને પગલે તાલુકામાંથી પસાર થતી તાન , માન અને ઔરંગા સહિતની લોકમાતાઓ બે કાંઠે વહેવા ની સાથે પુરની સ્થિતિ જોવા મળી હતી.જેના પગલે ખેરગામ તાલુકાના ત્રણ જેટલા માર્ગો ઉપર લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થવા પામ્યા હતા. જેમાં ઔરંગા નદી ઉપરના નાધઈ -ગરગડીયા નો પુલ જે ખેરગામ અને વલસાડ તાલુકાને જોડતો અતિ ઉપયોગી માર્ગ બંધ થવા પામ્યો હતો .આ ઉપરાંત ખેરગામ તાલુકાના બહેજ કૃતિખડક અને ધરમપુર તાલુકાના ભાંભા ગામ ને જોડતો અને ખેરગામ તાલુકાના ચીમનપાડા અને ધરમપુર તાલુકાના મરગમાળ ને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો.

અહેવાલ :- અંકેશ યાદવ (ખેરગામ)