જુનાગઢ: ગિરનાર પર્વત પર દતાત્રેય શિખર પર મહંત મહેશગીરી બાપૂ દ્વારા તાજેતરમાં 42 દિવસીય “સનાતન વૈદિક યજ્ઞાનુષ્ઠાન મહોત્સવ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ લાંબા અને અતિ વિશિષ્ટ યજ્ઞમાં સમગ્ર ભારતના સામવેદી, યજુર્વેદી, દ્રવિડ, દેશસ્થ, અગ્નિહોત્રી જેવા વિવિધ વિદ્વાન પંડિતોએ યજ્ઞકર્મોનું સંચાલન કર્યું.
આ યજ્ઞમાં આશરે 10 ટન લાકડું, 700 કિલો શુદ્ધ ઘી, 2 ટન હોમાત્મક સામગ્રી અને અનેક દુર્લભ ઔષધિઓનો ઉપયોગ થયો હતો. દેશભરના ઘણા સિદ્ધવિભૂતિઓ અને ધર્મગુરુઓ પણ આ યજ્ઞમાં ઉપસ્થિત રહ્યા અને પ્રથમ વખત યોજાતી આ યજ્ઞક્રિયા માટે ઉત્કૃષ્ટ પ્રતિભાવ વ્યક્ત કર્યો.
યજ્ઞ પૂર્ણ થતાં મહંત મહેશગીરી બાપૂ દ્વારા ગિરનાર પર્વતની પરિક્રમા યોજાઈ રહી છે. આજે 30 મે, શુક્રવારના રોજ, વિશેષ ચાર્ટર વિમાને ગિરનાર પર્વત અને દત્તાત્રેય શિખર પર ત્રણ પરિક્રમાઓ કરી આ વિશિષ્ટ અનુષ્ઠાનને સમાપ્ત કરવામાં આવશે, જે આજના સમયમાં ચાલીને કરવી મુશ્કેલ છે.
ગિરનાર પર્વત જેને 33 કરોડ દેવતાઓ અને નવ નાથ ચોસઠ જોગણીઓનું સ્થાને કહેવાય છે, તે એક સિદ્ધ તપસ્થલી તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ