ગીર સોમનાથમાં ‘એગ્રીસ્ટેક-ડિજિટલ ક્રોપ સર્વે’ માટે પ્રાઈવેટ સર્વેયર્સની ભરતી — ૧૧ ઓગસ્ટ સુધી અરજી.

કૃષિ ક્ષેત્રને વધુ પારદર્શક, ઝડપી અને ડિજિટલ બનાવવા માટે ભારત સરકારે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચર યોજના અંતર્ગત ‘એગ્રીસ્ટેક-ડિજિટલ ક્રોપ સર્વે’ની શરૂઆત કરી છે. આ યોજનાનો હેતુ ગામ-ગામના ખેતરોમાં વાવેલ પાકની સાચી અને તાજી માહિતી ડિજિટલ માધ્યમથી મેળવવાનો છે.

ગીર સોમનાથ જિલ્લામાં આ સર્વે ખરીફ સીઝન ૨૦૨૫-૨૬થી અમલમાં આવી રહ્યો છે. આ કામગીરી માટે સરકારી સ્ટાફ સાથે સાથે પ્રાઈવેટ સર્વેયર્સને પણ કામ કરવાની તક આપવામાં આવી રહી છે, જેથી ગ્રામ્ય સ્તરે ઝડપી અને વ્યાપક સર્વે શક્ય બને.

સર્વેમાં કરવાની કામગીરી:

  • ગામના દરેક સર્વે નંબર (જમીનના પ્લોટ) દીઠ વાવેલ પાકની વિગત સરકારની વિશેષ મોબાઈલ એપ દ્વારા નોંધવી.

  • પાકના પ્રકાર, વાવણીની તારીખ, અંદાજિત ક્ષેત્રફળ અને સ્થિતિ જેવી માહિતી સમયસર એન્ટ્રી કરવી.

  • સચોટ અને વાસ્તવિક માહિતી મેળવવા માટે સ્થળ પર જઇ ખેતરની મુલાકાત લેવી.

ભૂગતાન અને સુવિધા:
દરેક સર્વે નંબર દીઠ સરકાર દ્વારા નિર્ધારિત દરે મહેનતાણું ચૂકવવામાં આવશે. આથી, કામ કરતા જેટલું સર્વે પૂર્ણ થશે તેટલું મહેનતાણું મળશે.

કૌશલ્ય આવશ્યક:

  • સ્માર્ટફોનનો સારો ઉપયોગ આવડવો.

  • ઇન્ટરનેટ કનેક્શન અને એપ્લિકેશનમાં માહિતી એન્ટ્રી કરવાની ટેકનિકલ જાણકારી હોવી.

  • ખેતરોમાં સીધા જઈને ખેડૂતો સાથે વાતચીત કરવાની ક્ષમતા.

અરજી પ્રક્રિયા:
આ કામમાં જોડાવા માટે ઈચ્છુક યુવાનો અને વ્યક્તિઓએ ૧૧ ઓગસ્ટ, ૨૦૨૫ સુધીમાં નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), ગીર સોમનાથની કચેરી — શ્રીનાથજી સોસાયટી, પાણીના ટાંકાની પાસે, હોન્ડા શોરૂમ પાછળ — સંપર્ક કરવો.
વધુ માહિતી માટે ફોન નંબર ૦૨૮૭૬-૨૪૦૭૦૦ પર સંપર્ક કરી શકાય છે.

યોજનાનું મહત્વ:
આ ડિજિટલ ક્રોપ સર્વે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ સાબિત થશે, કારણ કે:

  • પાકની સાચી આંકડાકીય માહિતી સરકાર સુધી પહોંચશે.

  • વીમા, સહાય, સબસિડી અને અન્ય યોજનાઓ સમયસર અને યોગ્ય ખેડૂત સુધી પહોંચશે.

  • ખેતરની જમીન અને પાકની સ્થિતિ પર આધારીત આયોજન સરળ બનશે.

આ પ્રોજેક્ટથી સ્થાનિક સ્તરે રોજગારીની તક પણ વધશે, ખાસ કરીને ટેકનોલોજી જાણતા યુવાનોને તેમના ગામડામાં જ આવકનું સશક્ત માધ્યમ મળશે.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ