રાજ્યના લાખો ગ્રામીણ પરિવારો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક હિતકારી અને સંવેદનશીલ નિર્ણય કર્યો છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) સહિત સરકારની સહાયથી બનેલા આવાસો માટે રાજ્યના તમામ ગ્રામ પંચાયત વિસ્તારોમાં હવે ઘર વેરા આકારણીના હેતુએ ફક્ત વાર્ષિક રૂ.૨૦૦ લેવામાં આવશે.
આ નક્કી કરાયેલ દર આગામી ચાર વર્ષ માટે અમલમાં રહેશે અને કોઈપણ ગ્રામ પંચાયત આ દરથી વધુ રકમ વસૂલ કરી શકશે નહીં. ચાર વર્ષની મુદત બાદ આ દરની સમીક્ષા કરવામાં આવશે.
સરકારના આ નિર્ણયથી ખાસ કરીને નબળી આર્થિક સ્થિતિ ધરાવતા આવાસ લાભાર્થી પરિવારોને મોટી રાહત મળશે. જેમને સરકાર ઘરની સહાય આપે છે, તેવા લોકો માટે વેરાની રકમ ઓછી હોવાને કારણે ઘર ધરાવવાનો બોજ ઓછો થશે અને “ઘરના ઘર”ના સપનાને સાકાર કરવા વધુ સહાયરૂપ બનશે.
આ મહત્વપૂર્ણ નિર્ણય અંગે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા અધિકૃત ઠરાવ પણ જારી કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ પરિવારોના હિતમાં લીધેલા આ નિર્ણય માટે સમગ્ર રાજ્યમાંથી શુભેચ્છા અને આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
અહેવાલ : પ્રકાશ કારાણી, (વેરાવળ-સોમનાથ).