ચાંપરડા વૃદ્ધાશ્રમમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ: વરિષ્ઠ નાગરિકોને લોકશાહી પર્વમાં સહભાગી થવા પ્રોત્સાહન

૮૭-વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી–૨૦૨૫ને લઈને સમગ્ર જિલ્લામાં મતદારોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી વિવિધ કાર્યક્રમો આયોજિત થઈ રહ્યાં છે. આ અંતર્ગત ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો સુધી પણ મતદાન અંગેની માહિતી પહોંચે અને તેઓ સક્રિય સહભાગી બને તે માટે ચાંપરડા વૃદ્ધાશ્રમ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ દરમિયાન વૃદ્ધાશ્રમમાં રહેતા નાગરિકોને તેમના મૂળભૂત મતાધિકાર, ચૂંટણી સંબંધિત સુવિધાઓ તથા મદદરૂપ વ્યવસ્થાઓ અંગે વિગતે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત તેઓને પ્રેરણા અપાઈ કે ૧૯ જૂનના રોજ યોજાનારી પેટા ચૂંટણીમાં તેઓ અચૂક રીતે મતદાન કરી લોકશાહી પર્વમાં પોતાની ફરજ અદા કરે.

ચૂંટણી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે લોકશાહી મજબૂત બને તે માટે દરેક નાગરિકનું મતદાન મહત્વપૂર્ણ છે, અને વૃદ્ધ નાગરિકો તો સમાજ માટે માર્ગદર્શક સમાન છે. તેમનું મતદાન અન્ય માટે પ્રેરણા બને તેવો સંદેશ પણ આપવામાં આવ્યો.

આ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમો મતદારોમાં ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને ખાસ જરૂરિયાત ધરાવતાં લોકોને ટાર્ગેટ કરીને યોજવામાં આવી રહ્યા છે, જેથી ૧૦૦% મતદાન તરફ સરળતાથી પગલાં ભરાઈ શકે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ