જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાયો

જૂનાગઢ

જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષતા હેઠળ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૨૮ જેટલી અરજીનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ નિકાલ કરાયો હતો.

જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેકટરશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળી હતી. ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમયમાં પ્રશ્નોના નિકાલ કરવા સૂચના પણ આપી હતી. જિલ્લા કલેકટરશ્રીએ તમામ અરજદારોની સમસ્યા સાંભળી નિયત સમયમાં હકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી પણ આપી હતી.

આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે, જમીનની માપણી, જમીન દસ્તાવેજ, વરસાદી પાણીના નિકાલ, નવા ગામ તળમાં પ્લોટ ફાળવણી, સરકારી ગૌચર જમીનનું દબાણ દૂર કરવા બાબત, આરોગ્ય અને સ્વચ્છતા બાબત જેવા અનેક પ્રશ્નોનો જિલ્લા કલેકટરશ્રીએ સ્થળ પર જ ત્વરિત નિકાલ કર્યો હતો.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી નિતીન સાંગવાન, અધિક નિવાસી કલેકટરશ્રી એન.એફ ચૈાધરી, સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)