જુનાગઢ સહિત સમગ્ર રાજ્યના બાગાયત પાક અને શાકભાજી પાકોની ખેતી કરતા ખેડૂતો માટે હવે વિદેશમાં પાક નિકાસની સુવર્ણ તક ઉભી થઈ છે. આ નિકાસ પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છતા ખેડૂતોએ પોતાના ફાર્મનું અપેડા (APEDA) અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બની ગયું છે.
વિદેશ નિકાસ માટે યોગ્ય સમર્થન અને માન્યતા મેળવવા માટે ખેડૂતોએ પોતાનું ફાર્મ/બગીચું નાયબ બાગાયત નિયામક કચેરીમાં રજીસ્ટર કરાવવું પડશે, જેથી તેમના પાકો નિર્મળ અને નિકાસ માટે લાયક ગણાઈ શકે.
અરજી માટે નીચેના દસ્તાવેજો ફરજિયાત રહેશે:
જમીનના ૭/૧૨ અને ૮-અ ના દાખલા
આધાર કાર્ડની નકલ
ફાર્મ નકશો
ફાર્મ ડાયરી
નિમિત્ત અરજીફોર્મ (જે નાયબ બાગાયત કચેરીમાં ઉપલબ્ધ છે)
આ તમામ દસ્તાવેજો સાથે અરજી આપ્યા પછી અરજીની ચકાસણી થઈ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવશે, જે વિદેશ નિકાસ માટે પ્રથમ પગથિયું હશે.
ખેડૂતમિત્રો માટે અરજી કરવાની પ્રક્રિયા લઘુ કૃષિ ભવન, બહુમાળી સામે, જૂનાગઢ ખાતે આવેલી નાયબ બાગાયત નિયામક કચેરી તેમજ દરેક જિલ્લામાં તદનુરૂપ કચેરીઓમાં સક્રિય છે.
કેરી, ચીકુ, જામફળ, સીતાફળ, સરગવો, ટમેટા, કેપ્સીકમ વગેરે જેવા પાકોનું ઉદ્યોગીકરણ અને નિકાસ વધારવા માટે અપેડાનું ફાર્મ રજીસ્ટ્રેશન ખેડૂતો માટે મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડે છે, જે ભારતીય કૃષિનું વૈશ્વિક સ્તરે પ્રદર્શન વધારશે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ – જૂનાગઢ