જૂનાગઢ : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તા. ૦૮/૦૧/૨૦૨૫ થી તા.૦૧/૦૩/૨૦૨૫ દરમ્યાન યોજાયેલ ભરતી પ્રકીયા અંતર્ગત બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપ કસોટી જૂનાગઢના મુખ્ય પરેડ ગ્રાઉન્ડ બીલખા રોડ ખાતે રાખવામાં આવેલ હતી.
જેમાં આ ભરતી પ્રકીયા દરમ્યાન ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર, રાજકોટ, જેવા જીલ્લાઓનાં તાલીમાર્થીઓને પોલીસ તાલીમ મહાવિધાલય ખાતે રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. ત્યારે રાત્રિ રોકાણની વ્યવસ્થા તો સરકારી બેરેકોમાં થઈ ગઈ હતી, પરંતુ આ બીજા જિલ્લાઓમાંથી ભરતી અર્થે આવેલ તાલીમાર્થીઓએ ભોજનની વ્યવસ્થા જાતે કરવાની હતી, ત્યારે સમર્થશ્રી પરમ પૂજ્ય પ્રાગદાસ બાપા ગોદડિયાની રામવાડી-૧ અન્નક્ષેત્ર ટ્રસ્ટ આ ઉમેદવારોની વ્હારે આવી અને વેસ્ટર્ન એગ્રી સિડ્સ લિમિટેડ – ગાંધીનગરના સહયોગથી દરરોજના ૮૦૦ – ૯૦૦ તાલીમાર્થીઓને ભોજન પૂરૂં પાડીને અત્યાર સુધીમાં કુલ ૩૮,૦૦૦ તાલીમાર્થીઓને નિઃશુલ્ક શુધ્ધ અને સાત્વિક રાત્રિ ભોજન કરાવીને સેવાકાર્યમાં સહભાગી થયેલ ત્યારે જે સેવાકાર્યને આવકારી જુનાગઢ આઈજીપી નિલેશ જાજડિયા દ્વારા સંસ્થાના દરેક સ્વયંસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
તેમજ સમર્થ પરમ પૂજ્ય પ્રગદાસબાપા ગોદડીયાની રામવાડી-૧ અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૬૬ વર્ષથી ગિરનાર રોડ સ્થિત રામવાડી – ૧ ખાતે કાયમી અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. આ તકે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી એન. પી. પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રામવાડીની સ્થાપના અમારા પિતા પ્રાગદાસ બાપા દ્વારા સન ૧૯૬૩ માં કરવામાં આવી હતી, અને અમારા પિતા રામવાડીમાં રહીને સાધુત્વ જીવન ગાળતા અને હંમેશા રાષ્ટ્ર સેવા, માનવ સેવા, ગૌ સેવા, પ્રકૃતિ સેવાને મહત્વ આપતા હતા.
તેમજ વિધાદાન અને અન્નદાન જેવું બીજું કોઈ દાન નહીં એ સૂત્ર બનાવી વિધાર્થીઓ માટે રામવાડી ખાતે ગુરુકુળ બનાવી અનેક જરૂરિયાતમંદ બાળકોનું ભવિષ્ય બનાવ્યું, ત્યારે બાપાના પગલે અમે પણ આજે આ સેવાકાર્યો ચાલુ રાખેલ છે. જેમાં ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં આવેલ આપત્તિઓ જેવી કે ભૂકંપ, વાવાઝોડા, જળહોનારત, સહિત આજના કાળા માથાના માનવીને હચમચાવી દેનાર કોરોના મહામારી દરમ્યાન લોકોને રહેવા જમવા સહિત ફૂડ પેકેટો વિતરણની કામગીરી કરેલ અને હાલ છેલ્લા ૧૯૦ સપ્તાહથી નેચર ફર્સ્ટના માધ્યમથી દર શનિવારે ગાંધીનગર શહેર અને દર રવિવારે ગિરનાર જંગલ વિસ્તારમાં પ્લાસ્ટીક મુક્તિના અભિયાનો ચલાવવામાં આવે છે, જેમાં અત્યાર સુધીમાં ૨૫ ટન જેટલા પ્લાસ્ટીકનો નાશ કરીને ગિરનાર જંગલને પ્લાસ્ટીક મુક્ત કર્યું અને આજે પણ રામવાડી – ૧ ખાતે કાયમી અન્નક્ષેત્રની સાથે સાથે લોકોને રહેવા જમવાની નિશુલ્ક સેવા આપવામાં આવે છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ