જુનાગઢ: માંગરોળ દરિયા કિનારે ફરી એકવાર ચરસના પેકેટ મળી આવ્યા – પોલીસ અને SOGએ એક્ટિવ પેટ્રોલિંગ દરમિયાન જથ્થો ઝડપી પાડ્યો

જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે દરિયા કિનારે ફરી એક વખત ચરસના પેકેટ મળ્યા છે, જેના કારણે પોલીસ તંત્ર ફરી એકવાર સતર્ક બન્યું છે.

માંગરોળના શેરીયાજ બારા નજીક દરિયા કાંઠે બીનવારસી હાલતમાં ચરસના પેકેટ મળી આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, લગભગ 1 કિલો 200 ગ્રામ જેટલો ચરસનો જથ્થો કિનારે મળી આવ્યો હતો.

માંગરોળ મરીન પોલીસ સ્ટેશન તેમજ એસ.ઓ.જી. (Special Operation Group)ની ટીમ દ્રારા દરિયામાં અને કિનારાના વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ દરમિયાન આ ચરસનો જથ્થો મળ્યો છે.

ઘટનાને લઇને પોલીસ દ્વારા તાત્કાલિક રીતે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. શંકાસ્પદ હાલતમાં પેકેટ કિનારે મળતા અનેક આશંકાઓ ઉભી થઈ છે કે કદાચ દરિયાઈ માર્ગ દ્વારા નશીલી દવાઓની તસ્કરીનો પ્રયાસ કરવામાં આવ્યો હોય.

વિશેષ વાત એ છે કે, અગાઉ પણ માંગરોળના દરિયા કિનારે આવા જ પેકેટો મળી આવ્યાં છે, જેને લઇને પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.

હાલ, પોલીસ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે અને આસપાસના વિસ્તારોમાં પણ ચુસ્ત નજર રાખી રહી છે.

DYSP કોડીયાતર તથા SOGની ટીમ ઘટના સ્થળે હાજર રહી તપાસ કરી રહી છે.

રીપોર્ટર – પ્રતિપાલસિંહ સિસોદિયા, માંગરોળ (જૂનાગઢ)