જૂનાગઢ શહેરમાં પીવાના પાણી માટે મુખ્ય સ્ત્રોત ગણાતા વિલીંગ્ડન અને આણંદપુર ડેમમાં તાજેતરના ગિરનાર પર્વત વિસ્તારમાં થયેલા ભારે વરસાદને પગલે નવા નીરની સઘન આવક નોંધાઈ છે. બંને ડેમ ઓવરફ્લો થતા સમગ્ર શહેરમાં આનંદની લાગણી છવાઈ હતી. આ પાવન પ્રસંગે તા. 29 જૂન 2025 ના રોજ ભાજપના મહાનગર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, મેયર ઘમૅશભાઈ પોશીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, શાસક પક્ષના નેતાઓ અને વોટર વર્ક્સ સમિતિના ચેરમેન સુભાષભાઈ રાદડિયા સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિધિવત પૂજન વિધિ કરીને નવા નીરના વધામણા કરવામાં આવ્યા.
વિશેષ માહિતી અનુસાર, વિલીંગ્ડન ડેમમાંથી દરરોજ લગભગ 1.5 થી 2 MLD પાણી અને આણંદપુર ડેમમાંથી 10 MLD પાણી પુરૂં પાડવામાં આવે છે, જે જૂનાગઢ શહેરના લગભગ 4 લાખથી વધુ નગરજનોની જરૂરિયાતો પૂરી કરે છે. આ કારણે આ ડેમોને “શહેરની જીવાદોરી” તરીકે ઓળખવામાં આવે છે.
પરંતુ જો એક તરફ નવા નીરના આગમનથી આનંદનો માહોલ છે તો બીજી તરફ વિલીંગ્ડન ડેમ પરિસરની જર્જરિત સ્થિતિને લઈ નાગરિકોમાં નારાજગી જોવા મળી છે. સ્થાનિક લોકો અને પર્યટકો મુજબ ડેમ વિસ્તારનો વિકાસ થવો આવશ્યક છે. બેથી વધુ જગ્યાએ બાંધકામના નાશ પામેલા ભાગ, સેનિટેશનની અસ્વચ્છતા, અને ટૂટેલા વોકવે જેવા મુદ્દાઓ આરામદાયક પ્રવાસન અનુભૂતિને ખરડતાં હોવાનું જણાઈ આવ્યું છે.
જનતા તરફથી માંગ ઉઠી રહી છે કે જે રીતે શાસકવર્ગ નવા નીરના વધામણાં માટે ઉપસ્થિત રહ્યા, તે જ જુસ્સાથી ડેમ વિસ્તારમાં તાત્કાલિક સુધારણા અને સુવિધાઓ ઉભી કરવા જરૂરી છે. જૂનાગઢનું આ કુદરતી સૌંદર્ય અને પાણીનો સ્ત્રોત, સારી રીતે જતન પામે તો શહેર અને પ્રવાસન બંને માટે લાભદાયી સાબિત થઈ શકે છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ