જૂનાગઢમાં ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

જૂનાગઢ:

ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર્સ એસોસિએશન (ફોગસી-જુનાગઢ સોસાયટી) દ્વારા અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ સ્વામી હોલ ખાતે એક મહત્વપૂર્ણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. અલ્પેશ સાલવીના અધ્યક્ષસ્થાને આયોજિત આ કેમ્પને ડો. સાલવીએ દિપપ્રગટ્યથી પ્રારંભ કર્યો અને રક્તદાનના મહત્વ પર પ્રકાશ પાડ્યો.

ડૉ. અલ્પેશ સાલવીએ જણાવ્યું કે, રક્તદાન જીવલેણ બીમારીઓથી પીડાતા દર્દીઓને જીવદાયી સહાય પૂરી પાડે છે અને વિવિધ મેડિકલ અને સર્જિકલ પ્રક્રિયામાં અગત્યની ભૂમિકા ભજવે છે. કુદરતી આફતો, અકસ્માત કે અન્ય ઈમર્જન્સી સ્થિતિમાં લોહીની કડક જરૂર પડે છે. તે માટે રક્તદાન કેન્દ્રોની સારી વ્યવસ્થા હોવી જરૂરી છે જ્યાં રક્તદાતા વિનામૂલ્યે લોહી આપી શકે.

ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર્સ એસોસિએશનના અધ્યક્ષ ડો. પિયુષ વડાલીયા પણ રક્તદાતા તરીકે હાજર રહ્યા. તેમણે જણાવ્યું કે નિયમિત રક્તદાનથી હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે અને હાર્ટ અટેકની શક્યતા આશરે ૮૮ ટકા ઘટી જાય છે. આ ઉપરાંત લોહીમાં આયર્નનું પ્રમાણ સંતુલિત રહે છે અને લકવા થવાની શક્યતા પણ ૩૩% ઘટે છે. રક્તદાન કર્યા બાદ શરીર ૪૮ કલાકની અંદર નવા રક્તકણોનું નિર્માણ શરૂ કરે છે અને એકથી બે મહિનામાં લોહી સંપૂર્ણપણે પુનઃપ્રાપ્તિ પામે છે, જે શરીરને તંદુરસ્ત અને તાજગીભર્યું રાખે છે.

આ રક્તદાન કેમ્પ સફળ બનાવવા માટે ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર્સ એસોસિએશનના મંત્રી ડો. દેવરાજ ભાદરકા અને ડો. અતુલ ઠેસીયા દ્વારા ખાસ મહેનત કરવામાં આવી હતી. સાથેજ, લાઈફ લાઈન બ્લડ બેન્ક અને જુનાગઢ મેડિકલ રીપ્રેઝન્ટેટિવ એસોસિએશનના પણ સહકારથી આ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ કેમ્પમાં વિશેષતા એ હતી કે તમામ રક્તદાતા ડૉક્ટર અને પેરા મેડિકલ સ્ટાફ હતા, જે અનોખી પહેલ તરીકે નોંધાય છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ