જૂનાગઢમાં “વાંચન વલોણું” દ્વારા ચક્રસંહિતા પર પુસ્તક પરિચય અને વર્કશોપનું ભવ્ય આયોજન.

જૂનાગઢ શહેરના વાચકો માટે આજે એક વૈવિધ્યસભર અને જ્ઞાનવર્ધક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 28 જૂન, 2025ના રોજ, મુક્તધારા ફાઉન્ડેશન- વાંચન વલોણું દ્વારા ‘ચક્રસંહિતા’ પુસ્તક પર આધારિત પુસ્તક પરિચય અને વર્કશોપ કાર્યક્રમ કાલરિયા સ્કૂલ ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં પુસ્તકના લેખક ડૉ. જિતેન્દ્રભાઈ પટવારી દ્વારા ચક્ર હિલિંગ વિષય પર વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. તેઓ દુનિયાના એકમાત્ર પીએચ.ડી.ધારક છે જેમણે ચક્ર હિલિંગ વિષય પર સંશોધન કર્યું છે અને છેલ્લા 25 વર્ષથી ઊર્જા કેન્દ્રો પર કાર્યરત છે.

તેમણે ચક્રોના અસંતુલનથી થતાં શારીરિક અને માનસિક અસરો તથા તેની ઉપચાર પદ્ધતિઓ વિશે સમજાવ્યું. કાર્યક્રમમાં પ્રેક્ટિકલ સેશન, પ્રશ્નોત્તરી, અને એનર્જી વર્કશોપ યોજાયો જેમાં 250થી વધુ પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની ઉજવણી દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થઈ હતી. ડૉ. વીરેન્દ્ર ભટ્ટે વક્તાનો પરિચય કરાવ્યો જ્યારે ડૉ. માતંગ પુરોહિતે કાર્યક્રમનું સંચાલન કર્યું.
આ અવસરે સ્વામી નિજસ્વરૂપાનંદજી, ભારતીબેન પરસાણિયા, તેમજ મુક્તધારા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ, વાંચન વલોણું પરિવારના સભ્યો, અને શહેરના અનેક ખ્યાતનામ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ