રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત સંસ્કૃત શિક્ષણને પ્રોત્સાહન અને મહત્ત્વ આપવા, તેમજ સંસ્કૃત ભાષાનું ગૌરવ, સંરક્ષણ, સંવર્ધન અને પ્રસાર-પ્રચાર થાય તે હેતુસર ગુજરાત રાજ્ય સંસ્કૃતિ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા. ૬ થી ૮ ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમોની શરૂઆત ૬ ઓગસ્ટે સંસ્કૃત ગૌરવ યાત્રાથી થશે. આ યાત્રા સવારના ૯:૦૦ વાગ્યે સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ, જૂનાગઢથી પ્રસ્થાન કરશે, જે સ્વામિનારાયણ ગુરુકુળ, કોલેજ રોડ માર્ગે આગળ વધીને બહાઉદીન કોલેજ, જૂનાગઢ ખાતે પૂર્ણ થશે.
યાત્રાનો હેતુ:
સંસ્કૃત ભાષાની પ્રાચીન પરંપરા અને વૈભવ અંગે જાગૃતિ લાવવી
યુવા પેઢીને સંસ્કૃત અભ્યાસ માટે પ્રેરણા આપવી
સંસ્કૃત શિક્ષણના સંવર્ધન માટે જનસહભાગીતાનો સંદેશ આપવો
અન્ય કાર્યક્રમો:
પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ (ધો. ૬ થી ૧૨) માટે સંસ્કૃત શ્લોક ગાન, સ્તોત્ર ગાન, અને વક્તૃત્વ જેવી વિવિધ સ્પર્ધાઓ
૭ ઓગસ્ટ ૨૦૨૫: સંસ્કૃત સંભાષણ દિન ઉજવણી
૮ ઓગસ્ટ ૨૦૨૫: સંસ્કૃત સાહિત્ય દિન ઉજવણી
જિલ્લા વહીવટી તંત્રએ જૂનાગઢના નાગરિકોને આ ગૌરવમય ઉત્સવમાં સહભાગી થવા હાર્દિક આમંત્રણ આપ્યું છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ