જૂનાગઢ, તા. ૨૮:
૮૭-વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર અસરકારક દેખરેખ રાખવા બેંકના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ.
કલેક્ટરે સૂચના આપી કે, ઉમેદવારોના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનો પર સખત મોનિટરિંગ રાખવું અને રૂ. ૧૦ લાખથી વધુના કોઈપણ ટ્રાન્ઝેક્શન પર તાત્કાલિક રિપોર્ટ સત્તાવાર કરવો ફરજિયાત રહેશે. આ પગલાથી ચૂંટણી ખર્ચમાં અનિયંત્રિત ખર્ચ અટકાવવાની શક્યતા વધશે.
બેંકમાંથી રોકડ રકમ ઉઠાવતી વખતે એક ક્યૂઆર કોડ જનરેટ કરવાનો પણ પ્રસ્તાવ આપવામાં આવ્યો છે, જેથી રસ્તામાં ચેકિંગ વખતે તે રોકડ રકમ અધિકૃત અને સત્તાવાર છે તે સાબિત થઇ શકે.
ઉમેદવારોએ પોતાના ચૂંટણી ખર્ચ માટે અલગ બેંક એકાઉન્ટ ખોલવાનો ફરજિયાત નિયમ હોવાને કારણે, બેંકોમાં એક અલગ ‘વિન્ડો સિસ્ટમ’ કાર્યરત કરવામાં આવશે જેથી આ પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થાય.
આ બેઠકમાં બેંક અધિકારીઓને હાલની ગાઈડલાઇન્સ તેમજ સખી મંડળ અને એનજીઓના બેંક એકાઉન્ટમાં થતા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનો વિશે પણ જાણકારી આપવામાં આવી અને જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.
બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર પી.એ. જાડેજા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.જે. જાડેજા, નાયબ માહિતી નિયામક એસ.જે. બળેવીયા, લીડ બેંક મેનેજર રાઠવા, જૂનાગઢ ડિવિઝનના પોસ્ટ સુપ્રીન્ટેન્ડેન્ટ તેમજ ઈન્કમટેક્સ વિભાગના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ