જૂનાગઢ જિલ્લાના તમામ ખેડૂતો માટે ખેતીવાડી વિભાગ દ્વારા આવનારા ખરીફ ઋતુ માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે ખાસ તકેદારી રાખવા અનુરોધ કરાયો છે. આ માર્ગદર્શિકા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) શ્રી એસ.એમ. ગધેસરીયા દ્વારા જાહેર કરવામાં આવી છે.
ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે ખરીદી કરતી વખતે માત્ર અધિકૃત લાયસન્સ ધરાવતા સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા માન્ય ખાનગી વિક્રેતાઓ પાસેથી જ બિયારણ કે દવાઓ લેવી.
બીજાની થેલી સીલબંધ હોવી જોઈએ અને તેની મુદત પૂરી ન થઈ હોય તે બાબત ખાસ ચકાસવી. કોઈપણ વિક્રેતા ખાતર સાથે બીજ કે અન્ય સામાન ફરજિયાત ખરીદાવવાની શરત મૂકે તો તરત તાલુકા ખેતીવાડી અધિકારીને જાણ કરવી.
જાળીબીજ કે ઓછી ગુણવત્તાવાળા બિયારણો જેમ કે “૪જી” અને “૫જી” નામે વેચાતા પેકેટ્સથી દુર રહેવું અને ખાલી પેકેટો, બિલ, ટેગ વગેરે સાચવી રાખવા સલાહ અપાઈ છે જેથી ભવિષ્યમાં ફરિયાદ કરતી વખતે પુરાવા રૂપે ઉપયોગી બની શકે.
ખેડૂતોને પણ જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ પણ પ્રકારના શંકાસ્પદ વેચાણ અથવા લેભાગુ તત્વો જુએ તો તે અંગે તાત્કાલિક ખેતીવાડી વિભાગના અધિકારીઓ જેમ કે એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) જુનાગઢ, કે એસ.એમ. ગધેસરીયાનો સંપર્ક કરવા પણ જણાવવામાં આવ્યું છે.
આ માર્ગદર્શિકા અંતર્ગત ખેડૂતોને સાવચેતી સાથે ખરીફ ઋતુ માટે બિયારણોની ખરીદી કરવા આહવાન કરવામાં આવ્યું છે જેથી તેઓ નબળી ગુણવત્તાના ઉત્પાદનોના શિકાર ન બને.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ