જૂનાગઢ: ૩૧ મે,
૨૦૨૫, વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણીના ભાગરૂપે જુનાગઢ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ અને કે.જે. હોસ્પિટલની સહયોગથી અધિકારી-કર્મચારીઓ માટે વિશેષ ઓરલ કેન્સર સ્ક્રિનિંગ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવાસિયા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા અને કેન્સર નિષ્ણાત તબીબો સાથે ચર્ચા કરી, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કેન્સરના વધતા કેસો અને મહિલાઓમાં તેની સંભાવના અંગે માહિતી મેળવી.
કલેકટરે જણાવ્યું કે, તમાકુના વ્યસનથી બચવા માટે લોકોમાં ખાસ કરીને ચાવવાની આદતને બદલવા જરૂરી છે. તેમણે સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ તરીકે વરીયાળી પાવડર, એલચી જેવી વસ્તુઓ ચાવવાની ટેવ વિકસાવવા માટે પ્રોત્સાહન આપવાનું સૂચન કર્યું.
જિલ્લા કલેકટરે નાનાના બાળકોને તમાકુ અને અન્ય વ્યસનોથી દૂર રાખવા માટે શિક્ષણ, આરોગ્ય અને ICDS વિભાગો દ્વારા વિશેષ જનજાગૃતિ અભિયાન ચલાવવાનું પણ આગ્રહ કર્યો.
આ કાર્યક્રમમાં કુલ ૧૧૧ અધિકારીઓ અને કર્મચારીઓનો ઓરલ કેન્સર સ્ક્રીનીંગ કરવામાં આવ્યો હતો. સાથે જ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવા અન્ય સ્વાસ્થ્ય પરિક્ષણ પણ કરવામાં આવ્યા.
વિશ્વ આરોગ્ય સંસ્થાની ૩૧ મે, ૨૦૨૫ માટેની થીમ “Unmasking The Appeal Of Tobacco And Nicotine Products” હેઠળ તમાકુના હાનિકારક પ્રભાવ વિશે જાગૃતિ ફેલાવવાનું મુખ્ય ઉદ્દેશ હતું.
તમાકુના સેવનથી દર વર્ષે વિશ્વમાં ૮૦ લાખથી વધુ લોકોના મૃત્યુ થાય છે અને ભારતમાં દર વર્ષે ૧૨ લાખથી વધુ લોકો તેમનું શિકાર બને છે. તમારા માટે કેન્સર, હૃદયરોગ, લકવો અને અનેક ગંભીર બીમારીઓનું કારણ બની શકે તેવા તમાકુના નુકશાનથી બચવા માટે દરેક વ્યક્તિએ તમાકુનો ત્યાગ કરવો અતિઆવશ્યક છે.
આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અલ્પેશ સાલવી, ડો. હિમાંશુ લાખાણી અને અન્ય આરોગ્ય વિભાગના તબીબો ઉપસ્થિત રહ્યા.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ