જૂનાગઢ, તા. ૩૦ મે, ૨૦૨૫
જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જિલ્લામાં કોરોનાવાયરસની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી જણાવ્યું કે હાલ કોરોનાનો પ્રાદુર્ભાવ એકદમ સામાન્ય છે. તેમ છતાં ગભરાટ કર્યા વિના સંપૂર્ણ સાવધાની જાળવવી ખૂબ જ જરૂરી છે.
જિલ્લા કલેકટર દ્વારા ખાસ કરીને હાઉસ ટુ હાઉસ સર્વેમાં લોકોમાં હેન્ડવોશથી લઈને અન્ય આરોગ્યલક્ષી કાળજી અંગે જનજાગૃતિ વધારવાની સૂચના આપવામાં આવી છે.
જિલ્લા અને તાલુકા કક્ષાએ કોરોના માટે આરોગ્ય વ્યવસ્થાઓ – હોસ્પિટલોમાં બેડ, દવાઓ અને સ્ટાફની પુષ્ટિ પણ કરવામાં આવી છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પણ સુવિધાઓ અને તૈનાતી સ્ટાફની માહિતી મેળવી લેવાઈ છે.
જિલ્લા કલેકટરે તમામ સંબંધિત અધિકારીઓને સતર્ક રહેવા, નિયમિત બેઠક યોજવા અને સરકારની માર્ગદર્શિકા મુજબ યોગ્ય પગલાં લેવા સૂચના આપી છે.
આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અલ્પેશ સાલવી, મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ, સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ