જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે ઉકેલવા માટે કલેકટરશ્રીએ સંબંધિત કચેરીઓના અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.

સંબંધિત કચેરીઓના અધિકારીશ્રીઓને પ્રજાલક્ષી પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા સૂચના

જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે મળેલી આ બેઠકમાં ધારાસભ્ય સર્વ શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, શ્રી દેવાભાઇ માલમ, શ્રી સંજયભાઇ કોરડિયાએ ઉપસ્થિત રહી, જિલ્લામાં જમીન માપણી, પેશકદમી, માર્ગ અને મકાન વિભાગમાં ગેરકાયદે કબજો, જૂનાગઢ શહેર સંલગ્ન તાલુકાઓમાં પણ જ્યાં જમીન દબાણ હોઇ તે દબાણોને ખુલ્લા કરાવવા. શહેરમાં બસ જ્યાં બસ સ્ટોપ ન હોઇ ત્યાં બસ ન રોકવામાં આવે, વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓના નિવારણ, અકસ્માતનો ભય હોય તેવા સ્થળો પર જરુરી પગલા ભરવા, જંગલ વિસ્તારમાં હોય તે રેલવે ક્રોસ લાઇનમાં સ્પીડ બ્રેકર મૂકવા, ઘેડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ જવા બાબતે ઘટતું થાય, દામોદર કુંડની સઘન સફાઇ તેમજ અન્ય પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરી હતી. ધારાસભ્યશ્રીઓના પ્રશ્ન સંદર્ભે સંબંધિત કચેરીઓના અધિકારીશ્રીઓએ જવાબ આપ્યા હતા.

ચાંદીપુરા વાયરસ અંગે લોકોમાં જાગૃત્તિ આવે, પ્રાથમિક શાળાઓ, આંગણવાડીઓ સહિતના સ્થળો પર સઘન સફાઇ થાય, બાળકોનું હેલ્થ ચેક-અપ સમયાંતરે અને નિયમિતપણે થાય તે માટે ઘટતું કરવા જિલ્લા કલેકટરશ્રીએ દિશાનિર્દેશન કર્યુ હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી નિતિન સાંગવાન, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા, જૂનાગઢ જિલ્લા નિવાસી અધિક કલેકટર શ્રી એન.એફ.ચૌધરી, જૂનાગઢ વિભાગ નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોશી, ગીર પશ્ચિમ વિભાગ નાયબ વન સંરક્ષક શ્રી પ્રશાંત તોમર, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રી તેમજ સંબંધિત કચેરીઓના અધિકારીશ્રી-કર્મારશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
જશુ સોલંકી

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)