જૂનાગઢ-પોરબંદરના ઘેડ વિસ્તારના પ્રાણ પ્રશ્નો તાત્કાલિક ઉકેલ લાવવા બાબત પાલ આંબલિયાએ આવેદન સાથે રજુઆત કરી.

જૂનાગઢ

આધુનિક યુગમાં ઘેડ વિસ્તારના ૪૦-૫૦ ગામો આઠ – દશ દિવસ સુધી સંપર્ક વિહોણા થઈ જાય એ વિશ્વગુરુના સપના બતાવતી, ગુજરાત મોડેલના બણગાં ફૂંકતી અને કહેવાતી ડબલ એન્જીન સરકાર માટે કાળી લીટી સમાન, કલંક છે. એનાથી પણ મોટી વાત મુખ્યમંત્રીશ્રી આપને તો કદાચ ધ્યાનમાં પણ નહીં હોય કે સરકારના ચોપડે ઘેડ વિસ્તારમાં ખરીફ પાક છે જ નહીં, માત્ર રવિ પાક એક જ છે !! જો ખેડૂતો ખરીફ પાક ની વાવણી કરે અને પુરના કારણે પાક નુકશાની થાય તો સરકાર કહે છે કે સરકારના ચોપડે ઘેડમાં ખરીફ પાક છે જ નહીં એટલે તમારે પાક વાવવાનો જ નહોતો તમે શું કામ વાવ્યો ? તમને પાક નુકશાની વળતર નહીં મળે, શું આ જ છે આપણું આજ નું આધુનિક ભારત !

મહોદયશ્રી જુનાગઢ જિલ્લાના ૪ અને પોરબંદર જિલ્લાના ૧ એમ કુલ પાંચ તાલુકાના ૬૫ થી ૭૦ ગામોના, અંદાજે ૨ લાખ ૫૦ હજાર વસ્તી અને અંદાજે ૧ લાખ હેકટર ખેતી લાયક જમીન ધરાવતો આ વિસ્તાર ઘેડ પંથકથી ઓળખાય છે. જેમાંથી ભાદર, વેણુ, ઊબેણ, ઓઝત સાબરી, ટીલોરી, મઘુવંતી, છિપરાળી નદીઓ નીકળે છે જે અંદાજે ૨૦૦ ચોરસ કિલોમીટર વર્ગ નું વરસાદી પાણી એકડું કરી ઘેડ પંથક મારફતે સમુદ્ર તરફ પસાર થાય છે. અને ઘેડ પંથકમાં આ નદીઓ દર વર્ષે કાળો કહેર વર્તાવે છે. આ નદીઓના કાળા કહેર ઉપરાંત અહીંના R & B અને સિંચાઈ વિભાગના ઇજનેરો પોતે નિષ્ઠાથી કામ કરવાના બદલે માત્ર ભ્રષ્ટાચાર કેવી રીતે થાય એ પદ્ધતિથી કામ કરી ઘેડના ઉત્થાન માટે, વિકાસ માટે કરોડો રૂપિયાના બિલો સરકારી ચોપડે ઉધારાય છે પણ ઘેડના લોકોની સ્થિતિ ઠેર ની ઠેર જ રહે છે. ઘેડ વિસ્તારમાં મુખ્ય પાંચ – છ નદીઓ પસાર થાય છે તેની યોગ્ય મરામત, પ્રોટેક્શન દીવાલો, તેમના પરના પુલોની ડિઝાઇન, નદી દર વર્ષે સાફ કરવી, ઝાળી ઝાંખરાઓ સાફ કરવા વગેરે પ્રી-મોનસૂન કામગીરી માત્ર કાગળ પર થાય છે નદી ઊંડી પહોળી કરવાના બિલ કાગળ પર ઉધારાય છે જ્યાં ૨ – ૩ મહિના પાણી ભરાઇ રહે ત્યાં દર વર્ષે ડામરના રોડ બનાવાય છે અને દર વર્ષે પાણી ભરાઇ રહેવાના કારણે રોડ તૂટી જાય છે, આ વિસ્તારમાં બનાવવામાં આવતા પુલોની ઊંચાઈ નું લેવલ ન જાળવવું , પુલમાં રાખવામાં આવતા ગાળાઓ સાંકડા રાખવાના કારણે પુલમાં ઝાળી ઝાંખરાઓ અટવાઈ જતા નદીઓનું બુરાણ થાય અને પુલ ડેમનું કામ કરે છે. એટલું જ નહીં પણ જે પ્રોટેક્શન વોલ ૮૦ – ૯૦ ના દાયકામાં બનાવેલી છે, તે હજુ અકબંધ છે. પણ છેલ્લા બે-ત્રણ વર્ષ કે પાંચ-દશ વર્ષ પહેલાં બનેલી પ્રોટેક્શન વોલ તૂટી જાય છે જેના કારણે નદીઓ દર વર્ષે તૂટીને ઓછામાં ઓછા ૧૦૦ – ૧૫૦ ખેડૂતોના ખેતરો નદીમાં ફેરવાય છે અને આ ૧૦૦ – ૧૫૦ જગ્યાએ નદી વહેણ બદલવાના કારણે બધા જ ગામોમાં અને ખેતરોમાં નદી પ્રવેશે છે. જેના કારણે આ ખેડૂતોને જમીન ધોવાણ અને પાક નુકશાની દ્વારા ખેડૂતોને પારાવાર નુકશાન થાય છે. આ તૂટેલી નદી પછી સમગ્ર ઘેડમાં ફરી વળે છે જેથી ખેતરો, રોડ, રસ્તા ડૂબે છે ગામો ફરતે પાણી ભરાય જાય છે અને અંતે ગામો ટાપુમાં ફેરવાય કે સંપર્ક વિહોણા થાય છે.

અહીં આ વિસ્તારની બીજી એક ખૂબ જ ગંભીર સમસ્યા એ છે કે જેતપુર અને તેની આસપાસના સાડી ઉદ્યોગો દ્વારા કેમિકલ કચરો ઊબેણ, ભાદર નદીમાં ઠાલવવામાં આવે છે જે કેમિકલ યુક્ત ઝેરી પાણી કે “લાલપાણી” ખેડૂતોના ખેતરોમાં આવતા જ ઉભો પાક નાશ પામે છે ખેડવા લાયક ખેતર બંજર થઈ જાય છે.

મહોદયશ્રી અગાઉ ૧૯૯૨ સુધી સરકાર દ્વારા “ઘેડ વિકાસ સમિતિ” કાર્યરત હતી તે દર વર્ષે જરૂરી પ્રોટેક્શન વોલ બનાવતા, નદી ઊંડી પહોળી કરતા, ઝાળી ઝાંખરા સાફ કરતા અને નદીના મુખ્ય પ્રવાહને કોઈ વિક્ષેપ ન આવે તેની પૂરતી કાળજી રાખવામાં આવતી હતી. અગાઉ મંત્રી શ્રી વિજય મહન્ત સાહેબે ઓઝાત નદીમાં પાણીના નિકાલ માટે એક આખી નવી જ નદી ખોદાવી ઓઝાત નદીને બે ભાગમાં વહેંચી હતી એ જ સમયમાં હેલિકોપ્ટરની મદદથી સરકારી ખર્ચે સમગ્ર ઘેડ વિસ્તારના ધુમ્મડ(દેસી કપાસ) અને ચણાના ખેતરોમાં સામુહિક દવાનો છંટકાવ પણ કરવામાં આવતો હતો.
મહોદયશ્રી ઘેડ વિસ્તારની સમસ્યાનું નિરાકરણ કરવું હોય તો સૌ પહેલા તો સરકારની મોદી ગેરેન્ટી જેવી કોઈ ગેરેન્ટી નહિ પણ સાફ નિયત રાખી મક્કમ નિર્ધાર સાથે સરકારે કામ કરવાની જરૂર છે. આ વિસ્તારમાં પસાર થતી નદીઓના છેવાડાના ભાગે દર વર્ષે જે માટી કાંકરા પથ્થર ભરાય જાય છે અને નદીઓ છીછરી થતી જાય તેનું દર વર્ષે મરામત કરવું જરૂરી છે

સરકારે એક પ્રોજેક્ટના ભાગરૂપે નદીઓ ઊંડી પહોળી કરવાની ખાસ જરૂર છે. નદીઓની દીવાલો પર યોગ્ય પેચિંગ વર્ક કરવું જરૂરી છે. જ્યાં જ્યાં નદીઓમાં વળાંક આવે છે ત્યાં ત્યાં પ્રોટેક્શન વોલ બનાવવાની જરૂર છે. આ નદીઓ પરના પુલ છે તેની ઊંચાઈ વધારવી જોઈએ અને તે દરેક પુલના ગાળા પહોળા હોવા જોઈએ જેથી તેમાં જાળી ઝાંખરાં ન ભરાય જાય અને જ્યાં નદીઓ દરિયામાં ભળે છે ત્યાં યોગ્ય દરવાજા (બારા) મુકવાની જરૂર છે. ક્યાંય કેનાલ વાટે પાણી બહાર કાઢવાની જરૂર પડે ત્યાં કેનાલ જમીન ઉપર નહિ પણ કેનાલ જમીન થી નીચે ખોદીને બનાવવામાં આવે જ્યારે પાણી કાઢવાની જરૂર હોય ત્યારે વાલ ખોલી પાણી બહાર કાઢવાની વ્યવસ્થા હોય તેવી કેનલો બનાવવાની જરૂર છે. નદી ઊંડી પહોળી કરવા ખેડૂતોના ખેતરો, મકાન, કુવા જે કોઈ વસ્તુ આવે તેને સંપાદન કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવા જરૂરી છે. એટલું જ નહીં મોટા મોટા શહેરોમાં ૧૦ – ૧૫ કિલોમીટરના ફ્લાય ઓવર બ્રિજ તૈયાર થાય છે. અમદાવાદ જેવા શહેરમાં લોકો મનોરંજન માટે ૪૦ – ૪૫ હજાર કરોડના ખર્ચે સાબરમતી રિવર ફ્રન્ટ ડેવલોપ થઈ શકે તો ઘેડ વિસ્તારને સંપર્ક વિહોણો થતા અટકાવવા માટે, ઘેડ વિસ્તારનો આ કાયમી પ્રશ્ન હલ કરવા માટે શું સરકાર પાસે એકાદ હજાર કરોડ પણ ન હોય ??? સરકારે ઘેડ વિસ્તાર માંથી પસાર થતી નદીઓ (ઓઝત, સાબળી, ટીલોરી, મધુવંતી, છીપરાળી) પર કોજવે ની જગ્યાએ ઊંચાઈ વાળા પુલો અને ડામર રસ્તાઓ ની જગ્યાએ ભ્રષ્ટાચાર વગરના સીમેન્ટ રોડ(RCC) બનવવા ખૂબ જરૂરી છે. અને આ દર વર્ષે બનતા અને તૂટતા ડામર રોડ, પુલ, પ્રોટેક્શન વોલના નામે ઉધારતાં બિલો કરતા એક વખત સામૂહિક ખર્ચ કરવો સરકાર માટે પણ લાભદાયી રહેશે.

આ બધું કરવાની સાથે સાથે નદીમાં કેમીકલ છોડતા ઉદ્યોગો પર હપ્તા લીધા વગર ભ્રષ્ટાચારમાં ડૂબ પોલ્યુશન બોર્ડ દ્વારા કડક અમલ કરી આ કેમીકલ ને નદીમાં ઠાલવતા અટકાવવા કડક કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે જો એ નહિ થાય તો ઘેડ વિસ્તારમાં જે એક પાક લેવાય છે એ પણ આવતા દશેક વર્ષમાં આ ઝેરી કેમિકલ ના કારણે આ ઘેડના ખેતરોમાં રહેલી માટી બિન ઉપજાઉ (સિમેન્ટ જેવી કઠણ) થઈ જશે ને કોઈ ખેડૂતો ખેતી કરી શકશે નહીં ખેતરો બંજર થઈ જશે, એટલે સરકાર ઈચ્છે તો ઘેડ વિસ્તારના લોકોની આ કાયમી સમસ્યાનો ઉકેલ લાવી શકાય તેમ છે મહોદયશ્રી અમારી સ્પષ્ટ માંગ છે કે

1) અગાઉ 1992 પહેલા જેમ સરકાર દ્વારા રચિત “ઘેડ વિકાસ સમિતિ” કામ કરતી હતી તેમ અમારા સમગ્ર ઘેડ વિસ્તારમાં દર વર્ષની સમસ્યાના સમાધાન માટે રાજ્ય સરકાર દ્વારા “‘ઘેડ વિકાસ નિગમ”‘ બનાવવામાં આવે, ઘેડ વિકાસ નિગમમાં દર વર્ષે બજેટમાં અલાયદું ફંડ ફાળવવામાં આવે. જેથી ઘેડના આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવામાં આવે.

2) ઘેડ વિસ્તારના આ અનેક પ્રશ્નો ઘેડ વિસ્તાર માંથી પસાર થતી અલગ અલગ નદીઓના (ઓઝત, સબાળી, મધુવંતી, ટીલોરી) કારણે થાય છે, જેથી આ નદીઓ ને ઊંડી અને પોહળી કરવી, પાણી ના લેવલ ને ધ્યાન માં રાખી નદી પર કોઝ વે ની જગ્યા એ ઊંચા અને પોહળા પુલો નું નિર્માણ કરવું, જરૂર જણાય ત્યાં સિમેન્ટ (RCC) થી પ્રોટેક્શન દીવાલો કરવી. એટલે અમારો આ કાયમીનો પ્રાણ પ્રશ્ન તાત્કાલિક હલ કરવામાં આવે.

3) ચાલુ વર્ષે થયેલા અતિભારે વરસાદના કારણે દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ ની સાથે સાથે ઘેડ પંથકમાં થયેલ પાક નુકશાની, જમીન ધોવાણ સહિતના નુકશાન પેટે SDRF મુજબ નહિ પણ માત્ર ઘેડ વિસ્તાર માટે જ અલગથી એક ૫૦૦-૬૦૦ કરોડનું સ્પેશિયલ રાહત પેકેજ આપવામાં આવે. (અગાઉ રાજ્ય સરકારે અમરેલીમાં ૨૦૧૫ માં જમીન ધોવાણ પેટે પ્રતિ હેકટર રૂપિયા 60 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા તે પરિપત્ર આ સાથે સામેલ છે ૨૦૧૫ માં જે મોંઘવારી દર હતો તેમાં જે વધારો થયો છે એ મુજબ વધારો કરી વળતર આપવામાં આવે (દા. ત. ૨૦૧૫ માં સોનુ ૩૦,૦૦૦ રૂપિયા ટોલુ હતું જે આજે ૭૨,૦૦૦ રૂપિયા છે તો એ મુજબ ત્યારે ૬૦,૦૦૦ આપવામાં આવ્યા હતા તો મોંઘવારી મુજબ હેકટરદીઠ ૧,૫૦,૦૦૦ આપવા જોઈએ)

4) જેતપુર અને તેની આસપાસના ઔદ્યોગિક વસાહતમાંથી ઊબેણ નદીમાં ઝેરી કેમીકલ ઠાલવવામાં આવે છે જે ઊબેણ નદી કાંઠાના ગામો અને આખેઆખા ઘેડ વિસ્તારને બરબાદ કરી રહ્યું છે અમારી બહુ સપસ્ટ માંગ છે કે આ ઝેરી કેમિકલ ઊબેણ નદીમાં ઠાલવવાનું તાત્કાલિક ધોરણે સદંતર બંધ કરવામાં આવે(ચાલુ વર્ષે આવેલ પુરના પાણી અને માટીનુ કરાવેલ લેબ ટેસ્ટિંગ રિપોર્ટ આ સાથે સામેલ છે

આ ઉપરાંત એશિયાનો સૌથી મોટો માટીનો ડેમ અમીપુર ડેમ આપણી ધરોહર સમાન છે તે છેલ્લા 7 વરસથી રીપેરીંગ ના નામે આપણે દર વર્ષે થિંગડા મારી રહ્યા છીએ તેને તાત્કાલિક રિપેર કરવામાં આવે, એવી જ રીતે સોમનાથ માધુપુર પોરબંદર નેશનલ હાઇવે જે બની રહ્યો છે તે દરિયા કાંઠે છે અને આ જ વિસ્તારમાંથી અડધા સૌરાષ્ટ્રનું પાણી અલગ અલગ નદીઓના માધ્યમથી દરિયામાં પ્રવેશે છે ત્યારે આ રોડમાં પાણીના પ્રવાહને ધ્યાને રાખ્યા વગર ખૂબ જ ઓછા પુલ મુકવામાં આવ્યા છે જે ખેડૂતોના ખેતરોને બરબાદ કરે છે આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાંથી જ્યાંથી ભાદર નદી પસાર થાય છે તેવા વિસ્તારોમાં નદી દર વર્ષે ખૂબ નુકશાન કરે છે તેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે. તેમ જ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદે ખૂબ મોટી તારાજી સર્જી છે ત્યારે જૂનાગઢ જિલ્લાના જે જે ખેડૂતોને જમીન ધોવાણ, પાક નુકશાની થઈ હોય તેવા તમામ ખેડૂતોનું નુકશાનીનું તાત્કાલિક સર્વે કરી વળતર ચુકવવામાં આવે

મહોદયશ્રી ઉપરોક્ત અમારી ૪ માંગો પૈકી પહેલી અને બીજી માંગ નીતિવિષયક બાબતે છે જેનો નિર્ણય એકાદ અઠવાડિયામાં ન આવે એ અમો પણ સમજીએ છીએ એટલે ઉપરોક્ત પહેલી બે માંગ બાબતે સરકાર બે મહિનાની મુદતમાં કેબિનેટમાં ઘેડ વિકાસ નિગમ બનાવવાની અને બે મહિનામાં નદીઓ ઊંડી પહોળી કરવાનો એક્શન પ્લાન જાહેર કરવા અને ૨૦૨૫ ના ચોમાસા પેહલા પ્રશ્ન હલ કરવાની અમારી માંગ છે

જ્યારે ત્રીજી અને ચોથી માંગ માટે રાજ્ય સરકાર તાત્કાલિક નિર્ણય લેવા સક્ષમ છે જેથી આ માંગો તાત્કાલિક ધોરણે પૂરી કરવી કરવા વિનંતી. જો ઉપરોક્ત અમારી માંગો સંતોષવામાં સરકાર અને તંત્ર નિષ્ફળ રહેશે તો અમારે મજબુરન ગાંધી ચીંધ્યા માર્ગે લડત કરવા મજબૂર થવું પડશે.

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)