જેતપુરની ભાગોળે આવેલું કેરાળેશ્વર મહાદેવ મંદિર ૭૦૦૦ વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે.

જેતપુર

જેતપુર માં કેળના વનમાં સ્વયંભૂ શિવલિંગનું પ્રાગટ્ય થતાં મહાભારતનો પણ એક અદ્ભૂત ઇતિહાસ આલેખાયેલો છે. અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ આ જગ્યા પર પગલાં પાડ્યા હતાં.લોકવાયકા મુજબ સાતેક હજાર વર્ષ પહેલાં અહીં કમળનું સુંદર ઉપવન હતું. આ ઉપવનમાં જ શિવલિંગ સ્વયંભૂ પ્રગટતા આ સ્થળનું નામ કમલેશ્વર મહાદેવ પડ્યું. કહેવાય છે એ સમયે કોઈ કુદરતી વિપત્તિ આવતા સુંદર કમળોથી સુશોભિત આ શિવલિંગ આપોઆપ ધરતીમાં સમાઈ ગયુ હતું. વખત જતાં, વર્ષોના વહાણા વીતી ગયા બાદ આજથી સાડા ત્રણ હજાર વર્ષ પૂર્વે આ જ જગ્યાએ એ શિવલિંગ ફરી પ્રગટયું. ત્યારે અહીં કમળના ઉપવનની બદલે કેળનું વન વિસ્તરી ગયું હતું. કેળના વન વચ્ચે જ શિવલિંગ ઉદ્ભવતા તે હવે કેરાળેશ્વર તરીકે જ ઓળખાવા લાગ્યું હતું. એ સમયે ઋપિમુનિઓ દિવસભર ભોળાનાથની ઉપાસના કરતા. શિવલિંગ સમક્ષ ધ્યાનમાં બેસતા.

કાળક્રમે ફરી કોઇ કુદરતી આપત્તિ આવતાં શિવલિંગ આ સ્થળેથી આપોઆપ ખસી અને આઠેક કિલોમીટર દૂર ચાલ્યું ગયું હતું અને આ જગ્યાએ કેરાળી ગામ વસ્યું. આજે સાડા ત્રણ હજાર વર્ષ પછી પણ આ સ્થળ કેરાળેશ્વર તરીકે જ પ્રસિદ્ધ છે. એક લોકવાયકા એવી પણ છે કે વર્ષો પૂર્વે આ શિવલિંગનું કદ નાનું હતું. દર ચોખાના દાણા જેવું વધતું શિવલીંગ મોટું બની ગયું છે.

કહેવાય છે કે ૭૦૦ વર્ષ પૂર્વે આ મંદિરના પટાંગણમાં કેરાળી ગામના વધાસિયા પરિવારની રૈયા નામની યુવતીએ જીવતા સમાધિ લીધી હોવાથી તેની એક દેરી પણ બનાવવામાં આવી છે. આ જ સ્થળે ૩૫૫ વર્ષ પૂર્વે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે હળવદના દલાબાપા જાની નામના બ્રાહ્મણ વિદ્વાને કમળપૂજા કરેલી તેનું સ્થાનક પણ અહીં બનાવાયું છે. ૧૯૩૦માં કેરાળેશ્વર મહાદેવના પરમ ભક્ત એવા અમરનગર સ્ટેટના રાજવી મૂલુવાળા હસ્તક હોવાથી તેમણે દસ હજારના ખર્ચે મંદિરનો જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.
સોએક એકરમાં ફેલાયેલી આ જગ્યા પુષ્કળ વૃક્ષોથી ઘેરાયેલી હોવાથી અને ભાદર નદીના કાંઠે જ આવેલ હોવાથી અહીં સુંદર રળિયામણું વાતાવરણ જોવા મળે છે. અહીં લગભગ ૧૫૦ જેટલા મોર છે. આ જગ્યાની ગૌશાળામાં ૮૦ જેટલી ગાય-ભેંસનો પણ નિભાવ થઇ રહ્યો છે. આ અતિ પ્રાચીન જગ્યાની અનેક સંતો-મહંતો એ પણ મુલાકાત લઈને અહીં પૂજા-અર્ચના યજ્ઞ કરેલ છે. ડોંગરેજી મહારાજ, જગતગુરુ શંકરાચાર્ય, કથાકાર મોરારિબાપુ સહિતના સંતોએ અહીં મહાદેવની પૂજા કરી છે.

શ્રાવણ માસમાં મંદિરના મહંત નિર્મળભારથી બાપુ દ્વારા મંદિરને વિશેષ શણગાર કરવામાં આવે છે દરરોજ પુજા હોમ હવન થાય છે. અને શિવલીંગને ભાવિકો દ્વારા શણગાર કરવામાં આવે છે. આખો શ્રાવણ માસ ભાવિકો અહીં પૂજા અર્ચના કરી પુણ્યનું ભાથું બાંધે છે. શ્રાવણના સોમવારે તો અહીં ભાવિકોનો રીતસરનો મેળો ભરાય છે.

અહેવાલ:- કરણ સોલંકી (જેતપુર)