ડભોઇ, તા. ૨૮ મે:
ડભોઇ તાલુકાના પૂડા, કુવરવાડા, રાજલી, ડાંગીકુવા, બારીપુરા, ગોજાલી અને વાયદપુરા ગામોમાં નવા પંચાયત ઘર અને તલાટી આવાસ બનાવવાના કામ માટે કુલ 1 કરોડ 75 લાખ રૂપિયાના ખર્ચે ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ખાતમૂહૂર્ત ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા બારીપુરા ગામે કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ ગામોમાં પંચાયત ઘરોની હાલત લાંબા સમયથી જર્જરિત હતી અને તેની જરૂરિયાતની રજૂઆત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને કરવામાં આવી હતી. ધારાસભ્યશ્રીની પ્રયત્નોથી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ આ કામો મંજુર થયા છે.
ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું કે, “આ કામનું ખાતમૂહૂર્ત હું કરું છું અને આગામી 6 મહિના અંદર આ કામ પૂરું કરીને લોકાર્પણ પણ હું જ કરિશ.”
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ, જિલ્લા મહામંત્રી ડૉ. બી.જે. બ્રહ્મભટ્ટ, પ્રદેશ કારોબારી સભ્ય શશીકાંતભાઈ પટેલ, તાલુકા મહામંત્રી પિન્ટુભાઈ પટેલ, દતુંસિંહ સોલંકી, તાલુકા ઉપપ્રમુખ કેયુરભાઈ ઠાકોર, કોષાધ્યક્ષ વિરલ પટેલ અને ભાવેશભાઈ પટેલ નડાખાસ હાજર રહ્યા હતા.
આ ઉપક્રમે ડભોઇના દરેક ગામ સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાનો પ્રયાસ જારી રહેશે તેમ ધારાસભ્યએ આશ્વાસન આપ્યું.
અહેવાલ: વિવેક જોષી, ડભોઇ